બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ રથયાત્રામાં હકડેઠઠ માણસો વચ્ચે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
Last Updated: 08:11 PM, 24 June 2025
Ahmedabad rath yatra 2025 : અમદાવાદની 148 મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ છે. આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ 23,884 સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સીએમ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ દ્વારા હાઇટેક સુરક્ષા ગોઠવવામાં આવી
206 જેટલી જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સુચક બોર્ડ મુકીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી. રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે. ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત 16 કિ.મી. પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 જેટલા વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. ટ્રાફિક નિયમન માટે 1000 કર્મીઓ 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા, ૨૪૦ ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ થશે. યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે 17 જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક કરીને સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનસીપલ કમિશ્નર બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.
ADVERTISEMENT
રથયાત્રામાં કોઇ ચુક સહ્ય નહી
મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં 213 કરતાં વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત / અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ
AI નો ભરપુર ઉપયોગ કરશે પોલીસ
ADVERTISEMENT
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. A.I.ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે.
તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી
ADVERTISEMENT
ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે. રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત 23,884 થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.
મુખ્યમંત્રીને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1000 જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરે સમગ્ર મામલે મુખ્યમંત્રીને બ્રિફિંગ આપ્યું
પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે. રથયાત્રાના રૂટ પર આવેલી 484 જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા
આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 177, મહોલ્લા સમિતિની 235 તેમજ મહિલા સમિતિની 57 બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે 21 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 10 જેટલી બેઠકો યોજવામાં આવી હતી.
અનેક સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન
આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ તૈયારીઓ જોઇ સંતોષ વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.આ સમીક્ષા બેઠકમાં અધિક પોલીસ મહાનિદેશકઓ, અધિક પોલીસ કમિશનર તેમજ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અને વરિષ્ઠ સચિવો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.