રાજ્યમાં ચૂંટણીની મોસમ થરૂ થતાં પહેલા જાણે કે હડતાળની મોસમ શરૂ થઈ છે. રાજ્યમાં જ્યાં થોડા દિવસથી આરોગ્યકર્મીઓ હડતાળ પર હતા, ત્યાં એસટીના કર્મીઓએ બસના પૈડા થંભાવી દઈને જનજીવન સ્થગિત કરી દીધું એમાં કશુ બાકી રહ્યું હોય તેમ શિક્ષકોએ પર પોતાની માગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી દીધી અને હજારો વિદ્યાર્થીઓનું ભણતર અવકાશને ભેટ ચડી ગયું. સરકારી કર્મીઓની આજે નહીં તો કાલે માગણીઓ સંતોષાશે અને સમાધાનનો રસ્તો પણ નીકળશે પરંતુ આંદોલનને કારણે સામાન્ય નાગરિકોને થઈ રહેલા નુકસાનનું શું? આ સવાલ ગુજરાતના આકાશમાં ઘુમરાઈ રહ્યો છે જોઈએ આ અહેવાલ.
રાજ્યમાં ચૂંટણી પહેલા જાણે આંદોલનની મોસમ શરૂ થઈ છે. છેલ્લાં બે દિવસથી રાજ્યમાં સરકારીકર્મીઓની નારાજગી સપાટી પર આવી ગઈ છે. એસટી કર્મચારીઓએ પોતાની વિવિધ માગણીઓના સમર્થનમાં બસ ડેપોમાં મૂકી રાખી છે અને પોતે રોડ પર ઉતરી આવ્યા છે. વર્ષો જૂની માગણીની અભિવ્યિક્ત માટે જાણે તેમને અત્યારે જ સારુ મુહૂર્ત દેખાયું છે.
હજુ તેમની માગણી સરકાર સાંભળે ન સાંભળે તે પહેલાં તો શિક્ષકોએ પણ પોતાની માગણીના સૂર વહેતા કરી દીધા. રાજ્યના મોટાભાગના શિક્ષકોએ શિક્ષણકાર્ય છોડીને સરકારને ભણાવવા માટે આજે વિધાનસભઆનો ઘેરાવ કર્યો. આ બધા વચ્ચે ઘણા લાંબા સમયથી આરોગ્યકર્મીઓની ચાલતી હડતાલ કોઈને ક્યાંય નજરે ન ચડી, પરંતુ તેમનો અસંતોષણ પણ મક્કમ ગતિએ ઉછરી રહ્યો છે.
કહેવાય છે કે, શિક્ષક કયારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેની ગોદમાં ઉછરે છે, પરંતુ આ જ શિક્ષકોને એવું લાગે છે કે સરકાર તેમને સાધારણ સમજી રહી છે અને એટલે જ તેઓ આજે નિર્માણકાર્ય મૂકી પ્રલય સર્જવા જાણે રોડ પર ઉતરી આવ્યા હતા. આજે વહેલી સવારથી રાજ્યના 2.15 લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો સામુહિક રજા પર ઉતરી ગયા હતા અને પડતર માંગોને લઈ રૂપાણી સરકાર સામે આંદોલનના માર્ગે ઉતર્યા હતા.
રાજ્યભરના શિક્ષકોએ ગાંધીનગરને બાનમાં લીધું હતું. આ સાથે વિધાનસભા ગેટ પર રૂપાણી હાય-હાયના નારા લાગાડ્યા હતા. શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે અને સાતમા પગાર પંચની ભલામણોનો સત્વરે અમલ કરવામાં આવે. શિક્ષકોની આ માંગણીને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટેકો આપીની મામલો ગરમાવી દીધો છે.
ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ જે દિશામાં જઈ રહી છે તેણે સરકારમાં અને અને આમનાગરિકોમા ઘણી ચિંતા જન્માવી છે. એક તરફ એસ.ટી નિગમના કર્મચારીઓ પડતર માંગને લઈ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તો બીજી તરફ શિક્ષકો પણ હવે પોતાની માંગને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. શિક્ષકોના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ હજારો શિક્ષકોની અટકાયત કરવી પડી હતી તો અનેક સ્થળે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ઘણા પોલીસ સ્ટેશનમાં જગ્યા ખૂટી પડી હતી. આ તંગ સ્થિતિમાં સરકારે શિક્ષકોને આશ્વાસન આપી મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જો કે શિક્ષકોનું આંદોલન વધુ તીવ્ર બનતા સરકારે તાત્કાલિક નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્રણ મંત્રીઓની કમિટી બનાવી હતી. જે કમિટી વતી શિક્ષણમંત્રીએ આંદોલનકારી શિક્ષકો સાથે વાટોઘાટો કરી હતી, પરંતુ સરકારે શિક્ષકોની સંપૂર્ણ માંગણીઓ ન સ્વીકારતાં શિક્ષકોએ આંદોલન ચાલું રાખવાના મૂડમાં છે. કેમ કે, જ્યાં સુધી 1997ના ફિક્સ પગારદાર શિક્ષકોને 5 વર્ષની સળંગ નોકરી ગણવાની માંગ પુરી ના થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો તેમનો મિજાજ છે. આ બધા વચ્ચે શિક્ષકસંઘમાં જ આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
જો કે, સરકારે શિક્ષકોને લોલીપોપ આપી આજનો દિવસ સાચવી લેવા પ્રયાસ કર્યો છે. તો એસટી કર્મચારીઓની હડતાળ પર આજે સરકારનું વધારે ફોક્સ રહ્યું નથી ઉલટાનું સરકારે મુસાફરો માટે ખાનગી બસો દોડાવવાનું આયોજન કરીને એસટી કર્મચારીઓમાં વધારે રોષ જન્માવ્યો છે. ત્યારે હજુ ક્યાં સુધી બસના પૈડા થંભેલા રહેશે તેણે આમનાગરિકોમાં ચિંતા જન્માવી છે.