અમદાવાદ: રાજ્યભરમાં એસટી બસના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે યથાવત રહી છે. એસટી બસના કર્મચારીઓની હડતાળને લઈને મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. ત્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરકારે સુચનો કર્યા છે. જેમાં તાત્કાલિક ખાનગી બસની વ્યવસ્થા ઉભી કરવા સરકારે આદેશ આપ્યો છે.
જેને લઈને જિલ્લા કલેક્ટરો દ્વારા સ્થાનિક ખાનગી બસ સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવી છે. તો બીજી બાજુ પડતર માંગણીઓને લઇ 25 હજાર જેટલા એસ.ટી કર્મીઓ પણ અડગ રહ્યા છે. મળતી માહિતી મુજબ એસટી બસના કર્મચારીઓની હડતાળથી રાજ્યભરના 8 હજારથી વધુ એસ.ટી બસના રૂટને અસર થઈ છે.
મહત્વનું છે કે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સાતમા પગાર પંચ અને પડતર માંગણીઓને લઈ હડતાળ કરી છે. તેમજ સરકાર જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્ક્સ મુદ્દતની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.
નિગમ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ
રાજ્યભરના ST બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ વિવિધ માંગો સાથે હડતાળ પર ઉતર્યા છે. કર્મચારી મહામંડળે અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હડતાળના પગલે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાનગી બસ સંચાલકો નિયત ભાડાથી પરિવહન સેવા પૂરી પાડશે. પીક-અપ બસસ્ટેન્ડ પરથી ખાનગી બસ સેવા મળી રહેશે. અમદાવાદના 23 પીક-અપ સ્ટેન્ડથી પરિવહન સેવા મળી રહેશે. સવારે 6 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ખાનગી બસની સેવા મળી રહેશે.
પરિવહન સેવાને પગલે રોજિંદા મુસાફરોને હાલાકી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે ટ્રાન્સપોર્ટ કમિશનર વી.પી.પટેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખાનગી બસ સંચાલકોની બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે કેટલીક પડતર માંગોને લઇને ST બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે.