AMC દ્વારા શહેરમાં આવેલી મિલ્કતોનાં બાકી ટેક્ષના નાણાં રિકવરીની કાર્યવાહિત હાથ ધરી છે. શહેરના 7 ઝોનમાં AMC દ્વારા મિલ્કતદારો સામે કાર્યવાહિ હાથ ધરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
પ્રોપર્ટી ટેક્ષ રિકવરી મામલે AMC ની કાર્યવાહી
શહેરમાં કુલ 4564 મિલકત સીલ કરવામાં આવી
AMC ને એક દિવસમાં ટેક્ષ ની આવક રૂ 14.8 કરોડ થઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી મિલ્કતોનાં બાકી ટેક્ષના નાણાં રિકવરીની કાર્યવાહિત હાથ ધરી છે. ત્યારે એએમસી દ્વારા શહેરમાં આજે કુલ 4564 જેટલી મિલ્કતો સીલ કરી હતી. શહેરના 7 ઝોનમાં આજે સવારથી જ એએમસી દ્વારા મિલ્કતદારો સામે કાર્યવાહિ હાથ ધરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. AMC ને આજે એક જ દિવસમાં 14.8 કરોડની ટેક્ષની આવક થવા પામી હતી.
ભાજપના શાસકોએ વન-ટાઈમસેટલમેન્ટ યોજનાની અમલવારી જાહેર કરી
તાજેતરમાં શહેરના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24 માટેના મ્યુનિ. કમિશનરના રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1,082 કરોડના વધારા સાથે રૂ. 9482 કરોડનું સુધારિત બજેટ રજૂ કરાયું છે. આ સુધારિત બજેટ પર આગામી રવિવાર તા. 19 ફેબ્રુઆરીએ યોજાનારી બજેટ બેઠકમાં ચર્ચા-વિચારણા કરાશે અને તેને શાસક પક્ષ બહુમતીના આધારે મંજૂર કરીને રાજ્ય સરકાર સમક્ષ પાઠવશે. જ્યારે મ્યુનિ. વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટ પર પક્ષના સુધારા રજૂ કરાયા હતા. આમ, બજેટની પ્રક્રિયા વચ્ચે તા. 15 ફેબ્રુઆરીથી વર્ષોથી બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ માટે ભાજપના શાસકોએ વન-ટાઈમસેટલમેન્ટ યોજનાની અમલવારી જાહેર કરી છે, જેમાં વર્ષોથી બાકી ખેંચાતી પ્રોપર્ટી ટેક્સની રકમમાં પ્રોપર્ટી ટેક્સધારક માત્ર મુદ્દલ ભરીને વ્યાજમાંથી પૂરેપૂરી મુક્તિ મેળવી શકશે. એન્વાયરન્મેન્ટ ટેક્સમાં પણ 50 ટકા કાપ મૂકી
ગત તા. 10 ફેબ્રુઆરીએ શહેરના શાસક પક્ષ દ્વારા નાગરિકો સમક્ષ સુધારિત બજેટ રજૂ કરાયું હતું, જેમાં ત્રણ વર્ષ સુધી નવી જંત્રીનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી, જેના કારણે પ્રોપર્ટી ટેક્સના બિલમાંનો વધારો ટળ્યો છે, ઉપરાંત પ્રોપર્ટી ટેક્સના દરમાં શાસકોએ માત્ર આંશિક વધારો કર્યો છે તેમજ એન્વાયરન્મેન્ટ ટેક્સમાં પણ 50 ટકા કાપ મૂકી લોકોને રાહત આપી છે. બીજી તરફ ડોર ટુ ડોરના ચાર્જમાં વધારાની તંત્રની દરખાસ્તને શાસકોએ ફગાવી દીધી છે. આની સાથે પ્રોપર્ટી ટેક્સમાં દર વર્ષે પાંચ ટકાના બદલે ફકત બે ટકાનો વધારો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મંજૂર કર્યો છે.
કોર્પોરેશનના ટેક્સ ઇતિહાસમાં પહેલી વખત 15 ટકા રિબેટ અપાશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા ટેક્સમાં રૂ. 256 કરોડથી વધુની રાહત લોકોને આપવામાં આવી છે. ઉપરાંત એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાઓને પણ તેમણે રાજીના રેડ કરી દીધા છે. સળંગ ત્રણ વર્ષ ઓનલાઈન ટેક્સ ભરનારને મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ ઇતિહાસમાં પહેલી વખત 15 ટકા રિબેટ અપાશે. આની સાથે તે દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન હિતેશ બારોટે પ્રોપર્ટી ટેક્સના બાકી કરદાતાઓ માટે અભૂતપૂર્વ યોજના મંજૂર કરી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ યોજના માટે તાકીદની દરખાસ્ત રજૂ કરાઈ હતી, જેને ચેરમેન બારોટે લીલી ઝંડી આપી હતી, જેના કારણે પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓને વધુ એક ઐતિહાસિક યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે.