જામનગરમાં પશુ માલિકોની ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાંથી 162 પશુઓને તેઓ છોડાવી ગયા.
જામનગરમાં પશુ માલિકોની ખુલ્લેઆમ દાદાગીરી
કોર્પોરેશન સંચાલિત ઢોર વાડામાં કરી હતી તોડફોડ
રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો છે કડક આદેશ
એકતરફ રાજ્ય (Gujarat) માં હાઇકોર્ટે રખડતા ઢોરને લઇ આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે રખડતા પશુઓને લઇ આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે જામનગરના સોનલનગર વિસ્તારમાં પશુ માલિકોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે.
316 પશુઓમાંથી 162 પશુઓ છોડાવી ગયા
સોનલનગરમાં કોર્પોરેશન સંચાલિત ઢોર વાડામાં પશુપાલકોએ તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. ઢોરના વાડામાં ઘૂસીને તોડફોડ કરી પશુપાલકોએ 162 જેટલા પશુઓ છોડાવી ગયા.
કોર્પોરેશન દ્વારા 316 પશુઓને પકડી રાખવામાં આવ્યા હતા. ગત રાત્રિએ માલધારીઓ ઢોરવાડે પહોંચી પશુઓને છોડાવી ગયા હતા. માલધારીઓએ સિક્યુરિટી સાથે માથાકૂટ કરી તેઓ પશુઓને છોડાવી ગયા. જો કે, હવે આ બાબતને લઇ કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ છે.
કાયદો હાથમાં લેવાનો અધિકાર તમને કોણે આપ્યો?
પરંતુ અહીં પશુપાલકોની આ રીતે ખુલ્લેઆમ દાદાગીરીના કારણે અનેક સવાલો પણ ઊભા થાય છે જેવાં કે, આમ કેવી રીતે કોઇ ખુલ્લેઆમ દાદાગીરી કરી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી પશુપાલકોને ઢોરના વાડામાંથી છોડાવી જાય. શું એમને કાયદાની કોઇ બીક જ નથી કે શું? શું આ પશુપાલકોને કોઇ કાયદો નથી નડતો કે શું? આખરે પશુ માલિકોની દાદાગીરી ક્યાં સુધી ચાલશે? પશુ માલિકો મનમાની કરવાની બંધ ક્યારે કરશે? જો તમે પશુ નથી સાચવી શકતા, તો રાખો છો શું કામ? શું તમારા પશુને કારણે થતા અકસ્માતો કેમ તમને નથી દેખાતા? તમારા પશુને કારણે રાજ્યમાં કેટલાના જીવ ગયા, એ તમને ખબર છે? કાયદો હાથમાં લેવાનો અધિકાર તમને કોણે આપ્યો છે? ક્યારે રખડતા ઢોર મુદ્દે થશે કડક કાર્યવાહી? રખડતા ઢોરના માલિકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે? ક્યારે અધિકારીઓના પેટનું પાણી હલશે?
ઉલ્લેખનીય છે કે, હજુ તો જામનગરમાં રખડતા ઢોરનો આતંક હજુ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે તાજેતરમાં જ એક દિવસ અગાઉ ખંભાળિયા હાઇવે પર રખડતા ઢોરે દંપત્તિને અડફેટે લીધા હતા. લાખા બાવળના પાટિયા નજીક રખડતા ઢોરના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા વચ્ચે રખડતું ઢોર આડે આવતા અકસ્માત સર્જાતા દંપત્તિને ઇજા પહોંચી હતી. આથી, તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ હાઇકોર્ટે સરકાર, પોલીસ અને મનપાની ઝાટકણી કાઢી હતી
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં રખડતા ઢોરને લઇને તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે સરકાર, પોલીસ અને મનપાની ઝાટકણી કાઢતા રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો હતો. ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. તેમજ બનાવેલા પ્લાનનો અમલ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338 અને 188 હેઠળ ગુનો નોંધવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. આ સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે.