ગુજરાત વિધાનસભામાં રજૂ કરાશે રખડતા ઢોર વિધેયક, વિરોધની શક્યતા જોતા માલધારી એક્તા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈની કરી અટકાયત
વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ કરાશે રજૂ
શહેરોને રખડતા ઢોરથી મુક્ત કરવા કવાયત
માલધારી એક્તા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈની અટકાયત
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે.મહાનગરોમાં રખડતા ઢોરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી જગ્યાએ તો રખડતા ઢોરોનો આતંક એવો વધી ગયો છે કે જીવ ગુમાવવાના પણ બનાવો બન્યા છે. અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઇ નક્કર પગલા લેવાતા ન હતા. પરંતુ હવે રાજ્ય સરકાર આ મામલે સજાગ થઇ ગઇ છે. શહેરી વિસ્તારોને રખડતા પશુઓથી મુક્ત કરવાનું બિલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાશે. શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ વિધેયક 2022 બિલ આજે રજૂ કરાશે.
ઢોર નિયંત્રણ વિધેયકમાં શું જોગવાઇ કરાઇ?
શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે
પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ કરવા પર પ્રતિબંધ
પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો 10થી 50 હજાર સુધીનો દંડ
બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ
ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવાના કેસમાં થશે કાર્યવાહી
ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં થશે કાર્યવાહી
એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
નાગજી દેસાઈની અટકાયત
ઢોર નિયંત્રણ બિલને લઇને માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રખડતા ઢોર અંગે કાયદો લાવવાની જાહેરાત થતા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે વિધાનસભામાં આ બિલ રજૂ થવા જઇ રહ્યુ છે તે અગાઉ જ માલધારી એક્તા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈની અટકાયત કરવામાં આવી છે. રખડતા પશુઓને લઈને આવનારા બીલનો સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા જ નાગજી દેસાઇની અટકાયત કરવામાં આવી છે.