ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીના આજે પરિણામ આવ્યા. ત્રણ બેઠકો પર ભાજપ જીત્યું ત્યારે કોંગ્રેસ પોતાની બે સાચવી અને લટકાંની એક જીતી એમ બંનેને ત્રણ-ત્રણ બેઠકો ભાગે આવી. બહુચર્ચિત પક્ષપલટુ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જઈ હાર્યા. જો કે ભાજપની હારમાં પણ સ્ટ્રેટેજી છે? શું ભાજપે અલ્પેશ અને ધવલસિંહને ભાજપમાં લઈ પતાવી દીધા?
શું ભાજપે જુની રણનીતિ મુજબ વિરોધીઓને ઠેકાણે પાડ્યા
ઠાકોર નેતા બની બેઠેલા અલ્પેશને સમાજ અને પાર્ટી બંનેએ પાઠ ભણાવ્યો
ચૂંટણીના પરિણામોને જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ઘર આંગણે જ પતાવી દીધા છે. કોંગ્રેસમાં રહી ભાજપને હંફાવતાં જણાયું તો તરત જ ભાજપમાં લઈ લીધા અને અત્તિ મહત્વકાંક્ષા દેખાતાં હરાવી પણ દીધા. જો કે અલ્પેશ ઠાકોર જેવાં નેતાનું રાધનપુરથી ભાજપના ઉમેદવાર તરીકે હારવું એ જ્ઞાતિગત કે વિકાસગત્ત રાજકારણ મુજબ માનવું જ મુશ્કેલ છે. જો કે લોકશાહીમાં પ્રજાનો નિર્ણય જ સર્વોપરી છે.
દારૂ અને વિકાસના અટકેલાં કામો ધવલસિંહને નડ્યા
બાયડ બેઠક પર પક્ષપલટુ ધવલસિંહ ઝાલા હાર્યા. બાયડની પ્રજા હરહંમેશની જેમ કોંગ્રેસ સાથે જ રહી અને ભાજપને હાકી કાઢ્યું. જો કે આ મુદ્દે ધવલસિંહે પણ ભાજપમાં ગયા બાદ હાર થયાની વાત સ્વીકારી છે. વિકાસના કામોની વાતો કરતાં ભાજપ વાળા હવે અહીં ગોતવા પડે તેવી રીતે ખોવાયા છે. બાયડનો સવર્ણ મતદાર દારૂ અને વિકાસના અટકેલાં કામોથી કંટાળ્યો હોવાથી ધવલસિંહને જાકારો આપ્યો છે.
અલ્પેશને જ્ઞાતિનું રાજકારણ અને ઓવર કોન્ફિડન્સ નડ્યો
રાધનપુર બેઠક પર પક્ષપલટુ અલ્પેશ ઠાકોર હાર્યા. જ્ઞાતિ સમીકરણોને કારણે નેતા તરીકે ઉભરી આવેલાં અલ્પેશ ઠાકોરને જ્ઞાતિએ તેમનું કદ બતાવી દીધું. કોંગ્રેસની વોટબેંક સમા ઠાકોરોએ અલ્પેશને મત ન આપ્યા એટલે હાર આવી એવું મનાઈ રહ્યું છે. આ બેઠકની જવાબદારી શંકર ચૌધરી હતી પરંતુ તેમણે પ્રચાર અને સ્ટ્રેટજીમાં ધ્યાન ન આપી ત્યાં જ અલ્પેશને પતાવી દીધો.
વિરોધીઓને પતાવવાની ભાજપની આ જુની રણનીતિ
ભાજપ બુદ્ધિશાળીઓનો પક્ષ છે એવું હમણાથી મનાઈ રહ્યું છે. જો કે સત્ય પણ એવું જ છે કેટલાય વિરોધીઓને ભાજપ પોતાની સાથે રાખી કાંતો ઠીલા પાડી દીધા છે કાંતો પતાવી દીધા છે. અલ્પેશ અને ધવલસિંહ પહેલાય ઘણા દિગ્ગજોને ધારાસભ્ય પદે પણ નથી રહેવા દીધા. જો કે ભાજપે એક કાકરે બે પક્ષી માર્યા અલ્પેશ અને ધવલસિંહનું નેતૃત્વ પણ ખતમ કર્યું અને કોંગ્રેસના મજબુત નેતાઓને પણ સામી દીધા.
બેઠકો તો કોંગ્રેસને જ વફાદર છે
બાયડ અને રાધનપુરની વિધાનસભા બેઠકમાં ભાજપની હતી જ નહી. બાયડની પ્રજા વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહી છે. રાધનપુર બેઠક પર પણ પ્રજા કોંગ્રેસને જ વફાદાર રહી છે. જ્ઞાતિનાં સમીકરણોને લીધે નેતા બનેલાં અલ્પેશ ઠાકોર અને રાજકારણી ધવલસિંહ બન્ને કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. બન્ને ચૂંટણીમાં જીત્યાં હતાં. જેમાં અલ્પેશ રાધનપુર બેઠક પરથી જીત્યાં હતાં. જ્યારે ધવલસિંહ બાયડ બેઠક પરથી જીત્યાં હતાં.
મંત્રી બનવાના અભરખા અધુરા નહીં અંત
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બન્ને કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યાં બાદ એવો વિશ્વાસ આવી ગયો હતો કે તેઓ કોઈ પણ પક્ષમાંથી લડશે તો જીતી જશે. અલ્પેશને મંત્રી બનવાનાં અભરખા હતાં. જેને ધ્યાનમાં લઈને ભાજપે તેમને પોતાના પક્ષમાં જોડ્યાં હતાં. જો કે રાધનપુર અને બાયડની પ્રજાએ તેમને હાંકી કાઢ્યાં છે. ત્યારે એવું ચર્ચાઈ રહ્યું છે કે વિપક્ષમાં રહીને ભાજપને સામે પડેલા આ બન્નેના રાજકીય કરિયરને પતાવવાની ભાજપની સ્ટ્રેટેજી હતી એવું મનાઈ રહ્યું છે.