જો હિંમત અને નિશ્ચયથી કોઈ પણ કાર્યમાં લાગી રહીએ તો સફળતા ચોક્કસ મળે. એવું જ કામ 17 વર્ષની ઉંમરે એન્જીન્યરીંગ છોડીને રિતેશ અગ્રવાલે પોતાની કંપની ચાલુ કરીને શરુ કર્યું અને કોઈની મદદ વિના Oyo Roomsને તેણે 71 હજાર કરોડના કારોબારમાં પહોંચાડી દીધી.
રિતેશની સંપતિ આજે આશરે 110 કરોડ ડોલર એટલે કે 8000 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવે છે. ઓયો રુમ્સ દેશની સૌથી સફળ ઇન્ટરનેટ કંપનીઓમાં આજે ફ્લિપકાર્ટ 20 અબજ ડોલર અને PayTM 10 અબજ ડોલર પછી ત્રીજા નંબરની કંપની બની ગઈ છે.
Hurun Rich List 2020માં ઓયોના ફાઉન્ડર અને 24 વર્ષના સૌથી યુવાન ભારતીય રિતેશ અગ્રવાલને પણ સ્થાન મળ્યું છે.
આ છે રિતેશ અગ્રવાલની સફર
રિતેશ ફરવાનો શોખીન હતો. 2009માં દેહરાદૂન થી મસૂરી પ્રવાસ કરતી વખતે તેણે નોંધ્યું કે એવી ઘણી સુંદર જગ્યાઓ છે કે જેના વિષે લોકો ખૂબ ઓછું જાણે છે.
આ અનુભવથી રિતેશને વિચાર આવ્યો કે એક ઓનલાઇન સોશ્યલ કોમ્યુનિટી બનાવવામાં આવે જેથી એક પ્લેટફોર્મ ઉપર પ્રોપર્ટીના માલીકો અને સર્વિસ પ્રોવાઇડરની સહાયતાથી પર્યટકોને બેડ અને બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ સસ્તા ભાવે મળી રહે.
વર્ષ 2011માં રિતેશે ઓરાવેલની શરૂઆત કરી. રિતેશના આઇડિયાથી પ્રભાવિત થઈને મનીષ સિંહાએ ઓરવેલમાં ઈન્વેસ્ટ કર્યું અને તેના કોફાઉન્ડર બની ગયા.
2012માં ઓરાવેલને આર્થિક મજબૂતી મળી અને દેશના એન્જલ ઇન્વેસ્ટર ફંડેડ સ્ટાર્ટઅપ તરીકે મોટા પ્રમાણમાં રકમ મળી.
આ વેન્ચરમાં રિતેશને ફંડિંગ, માર્કેટિંગ, પ્રોપર્ટી માલિકો અને રોકાણકારો વગેરે ક્ષેત્રે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
જયારે રિતેશે ઓરાવેલ ડોટ કોમની શરૂઆત કરી ત્યારે તે 17 વર્ષનો હતો. તેનો એકમાત્ર ઉદ્દેશ દેશના પ્રવાસીઓને સસ્તા ભાવે રોકાણની જગ્યાની વ્યવસ્થા કરવાનો હતો.
ઓરાવેલ એક એવી માર્કેટપ્લેસ છે જ્યાં એપાર્ટમેન્ટ અને રૂમની 3500થી વધુ લિસ્ટિંગ છે જ્યાં તમે આરામદાયક અને એફોર્ડેબલ રૂમ્સ લઇ શકો છો અને રેગ્યુલર હોટલો કરતા આ અડધા ભાવમાં ઉપલબ્ધ હોય છે.
આ કંપની ઓયો ઇન્સ (ઓયો હોટલ્સ ડોટ કોમ)નું ઓન સંચાલન કરે છે. જ્યાં ઓછી કિંમતે હોટલોની એક ચેઇન ઉપલબ્ધ છે.
રિતેશ અગ્રવાલનો જન્મ ઓરિસ્સાના નાનકડા શહેર બિસમકટકમાં થયો છે જે તેની નક્સલવાદી પ્રવૃતિઓ માટે જાણીતું છે. રિતેશ કોલેજ ડ્રોપઆઉટ છે પણ તેની આ જ કમજોરી તેની તાકાત બની ગઈ છે.
શરૂઆતનું શિક્ષણ તેમણે રાયગઢની સિક્રેટ હાર્ટ સ્કૂલમાં લીધું હતું. નાનપણથી રિતેશને બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ પાસેથી પ્રેરણા મળતી.
ટોપ કોલેજના સ્નાતકો છે આ ડ્રોપ આઉટની કંપનીમાં કર્મચારીઓ
અગ્રવાલ IIM IIT HBS અને IV લીગની કોલેજના સ્નાતકોને નોકરીએ રાખે છે અને પોતે કોલેજ ડ્રોપઆઉટ છે. તે કહે છે કે ભારતમાં ડ્રોપ આઉટની મજાક ઉડાવાય છે. તેમને સ્માર્ટ કે સમજદાર માનવામાં નથી આવતા. રિતેશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને આશા છે કે આવતા વર્ષોમાં દેશના અન્ય ડ્રોપ આઉટ પણ આ રીતે તેમનું નામ ઉજાળશે.