ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રવિવારે કોરોનાના નવા 15353 કેસ નોંધાયા છે.
કોરોનાના વધતાં કેસની સંખ્યાને લઈને ચિંતા વધી
મહારાષ્ટ્ર દિલ્હી પછી યુપીના પણ વધી રહ્યા છે કેસ
ઉત્તર પ્રદેશમાં આજે આવ્યા 15 હજારથી પણ વધુ કેસ
દેશમાં કોરોના વાયરસની નવી લહેર ચાલી રહી છે, આ સંખ્યા શનિવારના આંકડા કરતાં લગભગ ત્રણ હજાર વધારે છે. શનિવારે, કોરોના સંક્રમણના 12,748 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 71,241 પર પહોંચી ગઈ છે.
નવા 15 હજારથી વધુ કેસ
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 15,353 નવા કેસ નોંધાયા છે, સાથે જ 6,11,622 લોકો અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે અને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 71,241 પર પહોંચી ગઈ છે. તે જ સમયે રાજ્યમાં અત્યાર સુધીમાં 85,15,296 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.
યુપીમાં હવે શાળા-કોલેજ અને કોચિંગ 30 એપ્રિલ સુધી બંધ રહેશે
કોરોનાના વધતા જતા કેસને કારણે ઉત્તર પ્રદેશની તમામ શાળાઓ,કોલેજો અને કોચિંગના 1 થી 12 ધોરણ સુધીના બધા વર્ગો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી આ આદેશ અમલમાં રહેશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સ્પષ્ટતા કરી છે કે અગાઉથી નક્કી કરાયેલી પરીક્ષાઓ ચાલુ રહેશે. આ સમય દરમિયાન, શિક્ષકો અને અન્ય સ્ટાફને જરૂરિયાત મુજબ બોલાવવામાં આવશે.
લેવલ 2 અને લેવલ 3ના બેડ વધારવા જોઈએ
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં તબીબી કર્મચારીઓ, દવાઓ, તબીબી ઉપકરણો અને બેકઅપ સહિતના ઓક્સિજનની પૂરતી ઉપલબ્ધતા જાળવવી જોઈએ. લેવલ -2 અને લેવલ -3ની પથારીઓ વધારવી જોઈએ. સરકાર બધી રીતે સહયોગ આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો કે લખનૌમાં એરા મેડિકલ કોલેજ દરેક કોવિડ હોસ્પિટલમાં ઓછામાં ઓછા 700 પથારી ઉપલબ્ધ હોવા જોઈએ. અહીં તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવી જોઇએ.