કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કેવડિયામાં સરદાર પટેલ મુદ્દે કોંગ્રેસ પર કરેલા વાર પર અમિત ચાવડાનો પલટવાર,કહ્યું-બંધ કરો સરદાર પટેલના નામ પર રાજનીતિ..
બંધ કરો સરદારના નામે રાજનીતિ-ચાવડા
કેવડિયામાં રૂપાલાએ કર્યો હતો કોંગ્રેસ પર વ્યંગ
અમિત ચાવડાનો ભાજપ પર પલટવાર
2022 ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું એપી સેન્ટર કેવડીયા કોલોની અને સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે તેવા સંયોગ વચ્ચે,કેવડિયાની કાર્યકારિણીમાં ગુરુવારે કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ સરદાર પટેલ અને કોંગ્રેસ પર આપેલા વ્યંગાત્મક નિવેદન પછી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા લાલઘૂમ થઇ ગયા છે અને કહ્યું કે,સરદાર પટેલના નામે રાજનીતિ બંધ કરો, અમિત ચાવડાએ આજે અરવલ્લીમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. ભાજપના કોઈ નેતાએ આઝાદી માટે બલિદાન નથી આપ્યું.
રૂપાલાનો વાર
ગુરુવારે, કેવડિયામાં ભાજપની પ્રદેશ કાર્યકારિણીને સંબોધતા કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, આવી કાર્યકારિણી અહીં કેવડિયામાં કોંગ્રેસે યોજવી જોઈએ. તેના બદલે એક પણ કોંગ્રેસી અહીં અત્યાર સુધી ફરક્યા નથી. સરદાર તો કોન્ગ્રેસના હતા. કોંગ્રેસે સરદાર પટેલના ઇતિહાસને ભૂલાવી દેવાનું કાર્ય કર્યું છે. તેમને કોંગ્રેસ પર વ્યંગ કરતા સરદાર પ્રત્યે દ્વેષની ભાવના હોવાની વાત કરી હતી.
ચાવડાનો પલટવાર
ગુજરાત કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રૂપાલાના કોંગ્રેસ પરના વ્યંગનો પલટવાર કરતા કહ્યું કે, સરદારના નામે રાજનીતિ ભાજપ બંધ કરે.સરદાર પટેલ કોન્ગ્રેસના પ્રમુખ હતા. પણ ભાજપ સરદારના અને ખાસ કરીને સ્ટેચ્યુંના નામે રાજનીતિ જ કરતો આવ્યો છે. સરદાર કોંગ્રેસના છે તેવા પણ રાજનીતિક ભાષણો બંધ કરવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ અમારા પ્રમુખ હતા તેમના નામે રાજનીતિ ના કરવાની હિમાયત પણ કરી હતી.અમિત ચાવડાએ તો ત્યાન સુધી કહી દીધું કે, ભાજપના વડવાઓ ગોડસેના ચાહકો હતા.
નિવેદનબાજીના મંડાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને ભલે હજુ એક વર્ષની વાર હોય પરંતુ નિવેદનબાજીની શરૂઆત કેવડીયાથી થઇ છે તેમ કહી શકાય. કેન્દ્રમાં ગુજરાતના પાંચ પ્રતિનિધીઓને મળેલા સ્થાન બાદ જન આશિર્વાદ યાત્રા આ પાંચેય મંત્રીઓએ કરી. મોદી સરકારની યોજનાઓનો પ્રચાર,અને કોરોના કાળમાં કેન્દ્રની કામગીરી જનતા સુધી પહોચાડવાનો હેતુ હતો.પરંતુ રાજનીતિક સમીક્ષકો માને છે કે, જનતાના આશીર્વાદ કરતા,નાડ પારખવાનો પ્રયાસ હતો. અને આ જ મંથન કેવડિયાની કારોબારીમાં થયું હોય એ પણ સ્વાભાવિક છે.
અત્યારે તો રાજકીય આયુધો સજાવાય રહ્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ નિવેદનથી એક બીજાને નીચા દર્શાવવા પ્રયાસ કરી રહ્યા છે.