કોરોના વાઈરસ સંક્રમણથી બચવા માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે. એવામાં દેશમાં ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળા ચર્ચામાં છે.
આ ઘાતક વાઇરસથી બચવા આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી છે પણ તમે એ જાણીને ચોંકી જશો કે કોઇ પણ આયુર્વેદિક ઔષધી હંમેશાં હવામાન, પ્રકૃતિ, ઉંંમર અને સ્થિતિ જોઇ આપવામાં આવે છે. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. જાણો આ ઉકાળાની અતિશયોક્તિથી થતા ગેરલાભ વિશે...
જો ઉકાળાનું નિયમિત સેવન કર્યા પછી તમારા શરીરમાં આ લક્ષણ દેખાય છે તો તરત જ તમારે આ ઉકાળાનું સેવન બંધ કરી દેવું જોઇએ.
જેમ કે નાકમાંથી લોહી નીકળવું, મોંમાં ચાંદાં પડવા, પેટમાં બળતરા થવી, પેશાબમાં બળતરા થવી, અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળાનું સેવન તરત જ બંધ કરી દેવું જોઇએ.
આયુર્વેદિક ઉકાળો કેમ પહોંચાડે છે નુકસાન?
હકીકતે ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળામાં સામાન્ય રીતે કાળાં મરી, સૂંઠ, લીંડી પીપર, તજ, હળદર, ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો કોઇ વ્યક્તિ આ વસ્તુઓનું સેવન બેહિસાબ રીતે કરે તો તેના શરીરમાં ગરમી વધી શકે છે
વાત અને પિત્ત દોષ ધરાવતા લોકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
ઉકાળાના સેવનથી કફ બરાબર થઈ જાય છે એટલે કફ દોષથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે પણ વાત કે પિત્તથી પ્રભાવિત લોકોએ આયુર્વેદિક ઉકાળો પીતી વખતે વધારે સાવચેતી રાખવી પડશે. ધ્યાન રાખવું કે ગરમ તાસીરવાળી વસ્તુઓ ઉકાળામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવી. આ સિવાય ઠંડી તાસીરની વસ્તુઓ નાખવી.•