મોડાસાના ખંભીસરમાં વરઘોડાના વિવાદના મામલે હવે ખંભીસર ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગામમાં એસઆરપીની એક ટુકડી ગામમાં ઉતારી દેવાઇ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો કે પરિવારજનોને હજુ પણ ડર હોવાના કારણએ આજે તેઓ વરઘોડો નહીં કાઢે. ત્યારે અહિંયા સવાલ એ છે કે, લોકો આવી જાતિવાદની માનસિકતા ક્યારે દૂર કરશે.
ઉલ્લેખનીય છે કે, ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નમાં રવિવારે બપોરે વરઘોડો કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. અગાઉ ગામમાં અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. જેને લઇ એક PI, છ PSI અને પ૦થી વધુ કર્મચારીનો બંદોબસ્ત પુરો પાડયો હતો. ત્યારે ચાર વાગ્યે વરઘોડો નીકળ્યો ત્યારે વિરોધ કરનાર અન્ય સમાજના લોકોએ માર્ગો પર હવન અને મહિલાઓએ ભજન શરૂ કર્યા હતા.
જેથી પોલીસે મહિલાઓને હટી જવા કહ્યું અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એકેય પક્ષ માન્યા નહોતા. અંતે સાંજે સાત વાગ્યે ભજન હતા તે માર્ગ ઉપરથી વરઘોડો કાઢવાનો પ્રયત્ન થતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોય અંધારામાં ભારે પથ્થરમારામાં ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.