અનંતનાગ જિલ્લામાં સવારની નમાઝ બાદ મસ્જિદની બહાર કેટલાંક અસામાજીક તત્વો દ્વારા સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર પથ્થરમારો
નમાઝ બાદ એક મસ્જિદની બહાર પથ્થરમારો થયાની ઘટના
પ્રદર્શનકારીઓએ રસ્તા પર આવી જઇ આઝાદ કાશ્મીરના નારા લગાવ્યા
જમ્મુ-કાશ્મીરમાં ઈદના તહેવાર પર પથ્થરમારો કર્યાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સવારની નમાઝ બાદ એક મસ્જિદની બહાર પથ્થરમારો થયો હતો. લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો.
કેટલાંક પ્રદર્શનકારીઓ દ્વારા આઝાદ કાશ્મીરને લઈને નારા લગાવવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે, આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારે અનંતનાગની મસ્જિદમાં ઈદની નમાઝ અદા કર્યા બાદ કેટલાંક પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા અને આઝાદ કાશ્મીરને લઈને નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ તેમાં દખલગીરી કરી તો કેટલાંક અસામાજિક તત્વો દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવી તેઓની પર પથ્થરમારો કરવામાં આવ્યો. જો કે સ્થિતિ હવે કાબુમાં આવી ગઇ હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દેવાઇ છે.
રાજસ્થાનના જોધપુરમાં પણ બે સમુદાયના લોકો વચ્ચે સંઘર્ષ થયો હતો
અત્રે તમને જણાવી દઇએ કે, બીજી બાજુ રાજસ્થાનના જોધપુરમાં પણ ઈદ અલ-ફિત્ર 2022 અને અક્ષય તૃતીયાના તહેવાર પહેલાં સોમવારે મોડી રાત્રે બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતાં. સંઘર્ષની શરૂઆત જલોરી ગેટ ચોક પર બાલમુકંદ બિસ્સા સર્કલ પર ભગવા ધ્વજને ઉતારીને તેના સ્થાને સમુદાયના ધ્વજને લહેરાવવાથી થઈ હતી. આથી મામલો વધારે બિચક્યો અને એકાએક સામસામે પથ્થરમારો શરૂ થઇ ગયો. આ પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ પણ થયા હતાં.
જો કે, પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે વચ્ચે પડી ટોળાંને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ભીડ બેકાબૂ બનતાં પોલીસે આ દરમિયાન લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવામાં લાગેલી પોલીસ પર એક સમુદાય દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો. જેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ ઘટનાને કવર કરી રહેલા મીડિયાકર્મીઓ પણ પોલીસના ગુસ્સાનો શિકાર બન્યા હતાં, પોલીસે 4 મીડિયાકર્મીઓને પણ માર માર્યો હતો. પોલીસે તહેવારને સાંપ્રદાયિક સંવાદિતા સાથે ઉજવવા અપીલ કરી.
રાતના 1 વાગ્યાથી જ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઇ
જિલ્લા પ્રશાસને તણાવપૂર્ણ વાતાવરણને જોતા સાવચેતીના પગલારૂપે ઈન્ટરનેટ સેવાઓ મોડી રાતથી જ બંધ કરી દીધી છે. જોધપુરમાં રાતના 1 વાગ્યાથી જ તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જોધપુરના ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ જારી કરેલા આદેશમાં સમગ્ર જોધપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.