ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાંથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. શહેરના યોગી ચોક પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.
સુરતના સરથાણા યોગી ચોકમાં પથ્થરમારો
ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, અનેક વાહનોના તૂટ્યા કાચ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એવામાં ચૂંટણી પહેલા સુરતના યોગી ચોક ખાતે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. ઘટનાને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
મળતી માહિતી અનુસાર, શહેરના સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા.
પોલીસ અને CRPFનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ પથ્થરમારાની ઘટનામાં કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલો કાબૂમાં છે. યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કામરેજ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ
આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ કામરેજ બેઠક પર પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરિયાને ઉમેદવારની કમાન સોંપી છે. તો કોંગ્રેસે પાટીદાર નેતા નિલેશ કુંભાણી અને આમ આદમી પાર્ટીએ રામ ધડૂકને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ વિધાનસભા બેઠક પર ત્રણેય પક્ષો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે તે નક્કી છે.