રાજ્યમાં માથાભારે વ્યાજખોરોના લીધે કોઇ યુવકે આત્મહત્યા કરી લીધી. જેવી અનેક ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી વધુ એક ઘટના સામે આવી છે.
વ્યાજખોરના ત્રાસથી શેરબજારના દલાલનો આપઘાત
સ્યુસાઇડ નોટમાં ગૃહમંત્રી પાસે કરી ન્યાયની માંગ
રૂપિયા માંગનારા લોકો ત્રાસ આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય (Gujarat) સરકારે કાયદા તો કડક બનાવ્યા તેમ છતાં વ્યાજખોરોનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી શેરબજારના દલાલ પ્રવિણ કુંભાણીએ આત્મહત્યા કરી લીધી છે. શેરબજારના દલાલે 7માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
જો કે, આત્મહત્યા કર્યા પહેલાં દલાલે સ્યુસાઈડ નોટ લખી હતી. આ સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરના નામના ઉલ્લેખ સાથે ન્યાયની માંગણી કરી છે. પ્રવીણ કુંભાણીએ ગૃહમંત્રી અને મિત્રો પાસે ન્યાયની માંગ કરી છે. રૂપિયા માંગનારા લોકો ત્રાસ આપતા હોવાનો દલાલે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
સુસાઈડ નોટ ફેસબુકમાં કરી હતી અપલોડ
આ સ્યુસાઇડ નોટને તેઓએ ફેસબુક અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે, 'મે સુસાઈડ કર્યું છે, તે આ લોકોની લીધે કરી રહ્યો છું, પોલીસ ખાતાને મારી વિનંતી છે. ખાસ કરીને હર્ષભાઈને વિનંતી છે કે, મારા પરિવારને પૂરો ન્યાય અપાવશો. મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહીં. મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે. આ સુસાઈડ નોટ હું ફેસબુક પર ચડાવું છું.'
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક-બે દિવસ અગાઉ દસક્રોઇ તાલુકાના નાજ ગામમાં રહેતા એક 45 વર્ષીય વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ખેતરમાં નાખવાની સેલફોર્સ નામની ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મૃતકે ઝેરી દવા ગટગટાવતા પહેલા મોબાઇલમાં એક વિડીયો બનાવ્યો હતો અને સુસાઇડ નોટ પણ લખી હતી. જેના આધારે અસલાલી પોલીસે બંને વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ સિવાય થોડાંક દિવસો અગાઉ અમદાવાદમાં રાજુ બેલદાર નામની વ્યક્તિએ બે વ્યાજખોરો પાસેથી રૂપિયા 2 લાખ વ્યાજે લીધા હતા. તેની સામે 18 લાખ ચુકવ્યા હોવા છતાં તેને શાંતિ નહીં પરંતુ મોત જ મળ્યું. એ પણ બે વ્યાજખોરોના આતંકના કારણે. આ વ્યાજખોરો ગમે તે સમયે મૃતકના ઘરે જઈ ધમકી આપતા હતા. જે ધમકીના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે રાજ્યમાં ક્યાં સુધી આવા વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેશે તે હવે જોવાનું રહ્યું. શું પોલીસ આવા લોકો વિરૂદ્ધ કોઇક એક્શન લેશે કે કેમ?