કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે હિન્દીમાં MBBS કોર્સનું લોકાર્પણ કર્યું અને મેડિકલના પ્રથમ વર્ષના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું
ભારતમાં પહેલીવાર મધ્યપ્રદેશમાં હિન્દીમાં MBBS કોર્સ શરૂ કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે લોકાર્પણ કર્યું
પીએમ મોદીએ વિદ્યાર્થીઓની માતૃભાષા પર વધુ ભાર આપ્યો: અમિત શાહ
ભારતમાં પહેલીવાર મધ્યપ્રદેશમાં હિન્દીમાં MBBS કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે તેનું લોકાર્પણ કર્યું અને મેડિકલના પ્રથમ વર્ષના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું. ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે, મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં MBBSનો અભ્યાસ હવે હિન્દીમાં પણ કરાવવામાં આવશે.
આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું, 'ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા પીએમ મોદીએ વિદ્યાર્થીઓની માતૃભાષા પર વધુ ભાર આપ્યો છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે. દેશમાં સૌપ્રથમ હિન્દી ભાષામાં તબીબી શિક્ષણ શરૂ કરીને મધ્યપ્રદેશની ભાજપ સરકારે વડાપ્રધાન મોદીના સપનાને સાકાર કરવાનું કામ કર્યું છે તેનો મને ગર્વ છે.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, માતૃભાષાના સમર્થકો માટે આજનો દિવસ ગર્વનો દિવસ છે. ભાજપ સરકારે ટેકનિકલ અને મેડિકલ એજ્યુકેશનમાં હિન્દી કોર્સ શરૂ કરીને ઈતિહાસ રચ્યો છે. સરકારના આ પ્રયાસે તે લોકોને પણ જવાબ આપ્યો છે જેઓ આ પગલાને અશક્ય ગણાવી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કોઈપણ વ્યક્તિની વિચારવાની પ્રક્રિયા તેની માતૃભાષામાં જ થાય છે. નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે, જો તમે કોઈ વ્યક્તિ સાથે તેની માતૃભાષામાં વાત કરો છો તો તે વાત તેના હૃદય સુધી પહોંચે છે. વિશ્વભરના શિક્ષણવિદોએ માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપ્યું છે. ભારતમાં પણ મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને કાયદાનો અભ્યાસ હિન્દીની સાથે દેશના વિવિધ રાજ્યોની માતૃભાષામાં થશે.
देश में पहली बार मेडिकल की पढ़ाई हिंदी में शुरू हो रही है, भोपाल (मध्य प्रदेश) में इसका शुभारंभ करते हुए… https://t.co/QgJGqYOAke
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હિન્દી માધ્યમમાં ભણતા આપણા ગ્રામીણ વિસ્તારના બાળકો ઈચ્છે તો પણ ડોક્ટર બની શકતા નથી, કારણ કે અંગ્રેજી ભાષા તેમના સપના પૂરા કરવામાં સૌથી મોટો અવરોધ બની જાય છે. હવે મધ્યપ્રદેશમાં હિન્દી માધ્યમના બાળકો પણ ડોક્ટર બની શકશે. આઝાદી પછી જેમના હાથમાં સત્તા હતી તેમણે દેશમાં અંગ્રેજોની માનસિકતા ખતમ થવા દીધી ન હતી. માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓને ખતમ કરવામાં તેમણે ભૂમિકા ભજવી હતી. આવા લોકોના કારણે દેશમાં અંગ્રેજી ભાષાનું સામ્રાજ્ય વધ્યું. દેશમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે જેઓ અંગ્રેજી જાણતા ન હતા તેઓને અભણ ગણવામાં આવે છે. આપણા મહાપુરુષોના નામ પણ અંગ્રેજી ભાષામાં ટૂંકાવીને અપમાનિત કરવામાં આવ્યા. પીએમ મોદીના નેતૃત્વમાં આ ભાષાકીય માનસિકતા બદલાઈ છે. દુનિયાના કોઈપણ દેશમાં જાવ, ત્યાં શિક્ષણ તે દેશની સ્થાનિક ભાષાઓમાં થાય છે, પરંતુ અંગ્રેજી માનસિકતાના લોકોએ ભારતમાં ક્યારેય હિન્દીને વધવા દીધી નથી.