અમદાવાદ:શહેરમાં ફરી એક વખત રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અખબારનગર સર્કલ પાસે બનાવવામાં આવેલા રોડ પર ભ્રષ્ટાચાર થયો હોય તેવુ લાગી રહ્યું છે. રોડ પરનો ડામર ઓગળી જવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રોડ હોવાના કારણે વાહનો સ્લીપ ખઈ રહ્યા છે.
મહત્વનું છે કે અખબારનગર સર્કલ પાસે ભગીરથ ઈન્ફાસ્ટ્રક્ચર કંપની દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. રોડ પર ચાલનારા લોકોના પગ ચોંટી રહ્યા છે. રોડ નિર્માણમાં ડામરનું પ્રમાણ ઓછું હોવાના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. ગરીબોના ચંપલનો ભોગ લેનારા આ રોડના દ્રશ્યો અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા અખબારનગર સર્કલ પરના છે. આ રોડ પર ખરાબપોરે 43 ડિગ્રી તાપમાનમાં રસ્તા પર ડામર પાથરવામાં આવ્યો છે.
મટીરિયલની હલકી ગુણવત્તા અને અને તીવ્ર ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે. જેના કારણે રોડ પગપાળા પસાર થતા અનેક નાગરિકો તકલીફમાં મુકાઈ રહ્યા છે. રોડ પર ચોંટી ગયેલા ચપ્પલના આ દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે તેના પર ચાલનાર નાગરિકોની શું હાલત થઈ હશે! જો કે આ ભર ઉનાળે ડામરના રોડ પર કોઈને ઊઘાડા પગે ચાલવાનું પોષાય નહીં તેમ છતાં લાચાર થઈ કેટલાક નાગરિકો ચપ્પલ ચોંટી જશે એ બીકે પોતાના પગરખા હાથમાં લઈને જ રોડ પરથી પસાર થઈ રહ્યા છે.
તો કેટલાક લોકો ખૂબ જ સાવચેતીથી પસાર થઈ રહ્યા છે. આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ ખૂબ સાવધાની રાખવી પડી રહી છે. રખેને વાહન સ્લીપ ખાઈ જાય તો! તો આ તરફ ટ્રાફિકનું નિયમન કરનારા ટ્રાફિક કર્મીની ટ્રાફિકની બધી ચિંતા એક બાજુ મૂકી પોતાના બૂટ રોડ પર ચોટી ન જાય તેની કાળજી રાખવા મજબૂર બન્યા છે. તો આ તરફ આસપાસના રહીશો પણ પરેશાન છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભગીરથ ઇફ્રા. કંપનીને આ રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. રોડ હજી ગેરંટી પીરીયડમાં હતો તો પણ તૂટી ગયો હતો. જેનાં કારણે મ્યુનિ કોર્પોરેશને તેને નોટિસ પાઠવી હતી. તેણે હવે રિપેરિંગ કામ શરૂ કરી દીધું છે. તો આ તરફ કોર્પોરેશને રોડ કોન્ટ્રાકટરોને બચાવવા માટે રોડ પેઇન્ટિંગનો નવો પેતરો શોધી કોઢયો છે.
તૂટેલાં આ રોડ પર હાલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.ગત વર્ષે રોડનાં ખરાબ કામ બદલ ભગવતી ઈફ્રાને નોટિસ આપવામાં આવી હોવા છતાં આ વર્ષે કંપની આ વર્ષે પણ ભગવતી ઈફ્રાને નવા પશ્ચિમ ઝોનનાં 100 કરોડનાં રોડનાં ટેન્ડર ફાળવી દેવામાં આવ્યાં છે.
આપને જણાવી દઇએ કે મેગાસિટી અમદાવાદ શહેર જેટલું મોટું એટલી જ મોટી તેની મોટી સમસ્યાઓ છે. વિકાસનાં કામો લોકોને શાંતિનો હાશકારો આપે ત્યારે આપશે પરંતુ આ કામો નાગરિકોને હાલ તો રોજિંદા જીવનમાં ભારે અડચણરૂપ બની રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે ભગીરથ ઇન્ફ્રા દ્વારા બનાવેલા રોડ ગેરંટી પિરીયડમાં હોવા છતાં રોડ તૂટી ગયા છે. ગત વર્ષે જે રોડ તૂટ્યા તેમાં ભગીરથ ઇન્ફ્રાને નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં આ વર્ષે ભગીરથ ઇન્ફ્રા.ને નવા પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના 100 કરોડના રોડના ટેન્ડર ફાળવી દેવામાં આવ્યા છે.