સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સગવડતા માટે અને તમામ વ્યવહારો કેશલેસ પદ્ધતિથી કરી શકાય તે માટે હવે ખાસ સ્માર્ટકાર્ડ બનાવવામાં આવી રહ્યું છે જેમાં પ્રવાસીઓ દ્વારા પહેલેથી જ પાંચ હજાર સુધીની રકમનું બેલેન્સ કરાવી અને આ એટીએમ જેવાં સ્માર્ટકાર્ડથી જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસ ખિસ્સામાં હાથ નાખ્યા વગર સરળતાથી કરી શકાશે.
આ સ્માર્ટકાર્ડમાં રૂપિયા જમા કરાવ્યા બાદ કાર્ડ ટિકિટ કાઉન્ટર, ફૂડ કોર્ટ, સફારી પાર્કથી લઈને કોઈ પણ સ્થળે જ્યાં નાણાકીય લેવડ દેવડ કરવાની હશે ત્યાં આ કાર્ડ સ્વાઇપ કરીને જે પણ રકમ ચૂકવવાની હશે તે ચૂકવી શકાશે.
આ કાર્ડ મેળવવા માટે અલગ અલગ સ્થળે સ્પેશિઅલ કાઉન્ટરો મૂકવામાં આવશે. જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હશે. આ કાર્ડ દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યૂ હોય કે સફારી પાર્ક એન્ટ્રી માટે સ્માર્ટકાર્ડ ટચ કરતાં દરવાજો ખૂલી જશે તેવી સિસ્ટમ જનરેટ કરવામાં આવી રહી છે.
પ્રવાસીઓ પરત જતી વખતે કાર્ડમાં જેટલા રૂપિયા ખર્ચ કર્યા હશે તે પછી વધેલી રકમ માટે પોતાના નાણાં એક્ઝિટ કાઉન્ટર પરથી પરત મેળવી શકશે. પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે સ્માર્ટકાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે બહુ ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે જાહેર કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતનાં અન્ય પ્રદર્શનો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં બસ ટિકિટ, એન્ટ્રી ટિકિટ, વ્યૂઇંગ ગેલેરી ટિકિટ તથા એક્સપ્રેસ ટિકિટના દરોનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે ૯ થી સાંજના ૫ કલાકનો છે અને દર સોમવારે સ્મારક બંધ રહે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ www.soutickets.in ઉપર થાય છે.