સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેસૂડા ટૂરનો શુભારંભ થયો છે. વસંતઋતુમાં રસ્તાઓમાં કેસૂડાનાં વૃક્ષોનું રંગીન દ્રશ્ય જોવા લાયક છે. આ રીતે કરી શકશો બુકિંગ...
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેસૂડા ટૂરનો શુભારંભ
પ્રવાસીઓ માટે વસંતઋતુ માટે ખાસ સુવિધા
વિંધ્યાચલ પર્વતમાળાનાં પણ થશે દર્શન
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આજથી કેસૂડા ટૂરનો શુભારંભ થયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત લઈ શકે તે માટે ખાસ "કેસૂડા ટૂર" શરુ કરવામાં આવી છે.
65 હજારથી વધુ કેસૂડાનાં વૃક્ષો
વસંતઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસનો વિસ્તાર સુગંધીત થઈ જાય છે. 65 હજારથી વધુ કેસૂડાનાં વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસૂડામય બની જાય છે જેનો લાભ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોંશભેર લઈ શકે તે માટે આજથી "કેસૂડા ટૂર" પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતાં.
કઈ રીતે કેસૂડા ટૂરમાં જોડાશો?
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઈટ પર ટિકીટ બુક કરાવી શકે છે. સવારે 7થી 10 અને સાંજે 4 થી 07 વાગ્યા સુધીમાં તેઓ આ ટૂરમાં જોડાઈ શકે છે. કેસૂડા ટૂર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. જ્યાં પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે-સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને પણ માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે. જ્યાં ટ્રેકિંગની સાથે-સાથે ખલવાણી ઈકોટૂરિઝમ સાઈટની પણ મુલાકાત પણ લઈ શકાશે.