વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી ગુજરાતમાં બનાવામાં આવેલ વિશ્વનું સૌથી ઉંચુ 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. એક અહેવાલ મુજબ દેશમાં જ બે એવી પ્રતિમાઓ બની રહી છે કે જે ગુજરાતના આ ગૌરવવંતા ઐતિહાસિક ગૌરવને પાછળ રાખી દેશે.
એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર દેશમાં બે અન્ય એવી પ્રતિમાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઉંચાઇમાં આગળ નીકળશે. જો કે હાલ 2020માં કોરોનાકાળ દરમિયાન બંને પ્રતિમાઓનું કામ ધીમી ગતિએ જોવા મળ્યું હતું. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો તેમજ આર્થિક વિકાસે ગતિ પકડતા 2021માં તેના કાર્યોમાં વેગ જોવા મળશે. જેના કારણે આ બંને પ્રતિમાઓનું આગામી 2023 સુધીમાં નિર્માણ કાર્ય પુરુ થઇ જાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉધ્ધાટન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં અંદાજે કુલ 3000 કરોડનો રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે તેની સાથે આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે આજુ-બાજુ મનોરંજનની સાથે એમિનિટીઝ ઉમેરવામાં આવતાં કુલ ખર્ચે 5000 કરોડ રુપિયા જેટલો પહોંચી ગયો હોવાનું અનુમાન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ઉધ્ધાટન કર્યા બાદ એવો દાવો કર્યો હતો કે આ વિશ્વનું સૌથી ઉંચુ સ્મારક છે. જો કે દેશના બે રાજ્યો આગામી 2023 સુધીમાં આ દાવાને તોડી શકે તેમ છે. જેમાં મહારાષ્ટ્રના મુંબઇમાં અરબી સમુદ્રમાં બની રહેલ શિવાજી મહારાજની સ્ટેચ્યુની ઉંચાઇ 212 મીટર રાખવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિમા 221 મીટરની બનાવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઇમાં અરબી સમુદ્રમાં શિવાજી મહારાજના સ્ટેચ્યુંની ઉંચાઇ 212 મીટર રાખવામાં આવી રહી છે. જો કે પહેલા આ પ્રતિમા 192 મીટર બનાવવાની હતી પરંતુ રાજ્ય સરકારે પાછળથી તેની ઉંચાઇ વધારીને 212 મીટર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવાજીની પ્રતિમાના પ્રોજેક્ટનું જળપૂજન 24મી ડિસેમ્બર 2016ના રોજ કર્યું હતું.
જ્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશની સરકારે પણ એવું એલાન કર્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રોજેક્ટ માટે 447 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. રામની પ્રતિમા 151 મીટર ઉંચી જ્યારે ઉપરના છત્રની ઉંચાઇ 20 મીટર અને પ્રતિમાની પીઠની ઉંચાઇના 50 મીટર ઉમેરતા કુલ 221 મીટરની ઉંચી પ્રતિમા હોવાનું જણાવામાં આવી રહ્યું છે.
આમ જ્યારે દેશમાં મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પ્રદેશમાં પ્રતિમાઓ બની જશે ત્યારે ગુજરાત ખાતે બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સૌથી ઉંચાઇનો રેકોર્ડ તોડી નાંખશે.