ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાને કયા રાજ્યોએ કેટલા પ્રમાણમાં આ યોજનાનો લાભ લીધો છે એના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યોએ ઉત્તરપ્રદેશ, ઝારખંડ જેવા અલ્પવિકસિત રાજ્યો કરતા આ યોજનાનો વધુ લાભ લીધો હોવાની માહિતી રજુ થઇ હતી.
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી રાજ્યોનો એનાલિસિસ કરતા જાણવા મળ્યું હતું કે જે રાજ્યોમાં પહેલેથી જ આરોગ્યને લગતી યોજનાઓ ચાલી રહી હતી તેવા રાજ્યોએ - જેવા કે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર - આ યોજના અંતર્ગત તેમના દર્દીઓ પાછળ જે રાજ્યોમાં આરોગ્યને લગતી યોજનાઓ ચાલી રહી નથી એવા રાજ્યો - જેવા કે ઉત્તરપ્રદેશ, ઝારખંડ - કરતા 2 થી 2.5 ગણો વધુ ખર્ચ કર્યો છે.
શું છે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના?
23 સપ્ટેમ્બર 2019ના રોજ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારતના એક ભાગ હેઠળ લોન્ચ થઇ હતી. આ યોજનાનો મુખ્ય હેતુ આરોગ્યના જંગી ખર્ચના કારણે પરિવારોને ગરીબીમાં ડૂબતા અટકાવવાનો છે. આ યોજના સામાજિક અને આર્થિક રીતે અલ્પવિકસિત પરિવારોને વર્ષે 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પૂરું પાડે છે.
કેટલો ખર્ચ અત્યાર સુધી રાજ્યોએ આ યોજના હેઠળ ક્લેઇમ કર્યો છે?
9 જુલાઈ 2019ના ડેટા અનુસાર રાજ્યોએ સારવારના કુલ 3482 કરોડ રૂપિયા આ યોજના હેઠળ ક્લેઇમ કર્યા છે. આ લાભાર્થીઓમાં ગુજરાત 748 કરોડ રૂપિયા અને 4,37,774 દર્દીઓ સાથે પ્રથમ ક્રમે આવે છે. બીજા ક્રમે 5,69,546 દર્દીઓ અને કુલ 449 કરોડ રૂપિયા સાથે છત્તીસગઢ બીજા ક્રમે આવે છે. 439 કરોડ રૂપિયાના ક્લેઇમ સાથે તામિલનાડુ ત્રીજા ક્રમે આવે છે.
દર્દી દીઠ સરેરાશ ક્લેઇમના આંકડાઓમાં આંધ્રપ્રદેશ 29709 રૂપિયા સાથે પ્રથમ ક્રમે આવે છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે કર્ણાટક અને ચોથા ક્રમે તામિલનાડુ આવે છે. આ સામે અત્યાર સુધી ઉત્તરપ્રદેશે ફક્ત 145 કરોડ રૂપિયાનો ક્લેઇમ 1,19,515 દર્દીઓ માટે કર્યો છે. અહીં દર્દી દીઠ સરેરાશ ક્લેઇમની રકમ ફક્ત
12,195 રૂપિયા છે.
નોંધનીય છે કે આ યોજનાના અમલીકરણ સાથે રાજ્યોની સ્થાનિક આહ્હ રોગ્ય યોજનાઓને પણ આમાં સમાવી લેવાએમાં આવી. જેમ કે આંધ્રપ્રદેશની આરોગ્યશ્રી યોજના, મહારાષ્ટ્રની મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના વગેરે.
કયા રાજ્યોએ આ યોજનાને અમલ નથી કરી?
ઓરિસ્સા અને તેલંગાણા બે રાજ્યોએ પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાને અપનાવી નથી. પશ્ચિમ બંગાળે અધવચ્ચેથી આ યોજનાનો બહિષ્કાર કર્યો હતો.
આટલા તફાવતનું શું કારણ છે?
નેશનલ હેલ્થ ઓથરીટીના એક અધિકારીના મતે આંધ્રપ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યોમાં પૂરતા પ્રમાણમાં હોસ્પિટલો છે આથી દર્દીઓને દાખલ થવા માટે રૂપિયાની જરૂર પડે છે, જયારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં દવાખાનાઓની સંખ્યા જ ઓછી હોવાથી અહીં ક્લેઇમની રકમ ઓછો રહે છે. અહીં ખાનગી ક્ષેત્રના રોકાણની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જરૂરિયાત છે.
બીજા શબ્દોમાં કહીએ તો વિકસિત રાજ્યોમાં મોટી બીમારીઓ માટે આ ક્લેઇમ કરવામાં આવ્યા છે જયારે અલ્પવિકસિત રાજ્યોમાં સુવિધાઓના અભાવે આ ક્લેઇમ પ્રાથમિક બીમારીઓ માટે જ કરાયા છે. ઉદાહરણ તરીકે સૌથી વધુ કોઈ રોગ માટે ક્લેઇમ થયેલ રકમ મોતિયાની છે.
કેરળ એક અપવાદ
કેરળ તેની સારી આરોગ્ય સુવિધા માટે જાણીતું છે અને તે એક વિકસિત રાજ્ય છે. આમ છતાં અહીં 3,18,604 દર્દીઓ માટે ફક્ત 186 કરોડ રૂપિયા ક્લેઇમ કરવામાં આવ્યા છે જે સરેરાશ દર્દી દીઠ ફક્ત રૂપિયા 5851 છે.