GSTની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક પછી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે મોડી રાત્રે રાજ્યોને 20,000 કરોડની GSTની ચુકવણી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારને કોમ્પેનશેશન સેસમાં મળેલા 20,000 કરોડ રૂપિયાનું વિતરણ રાજ્યો વચ્ચે કરવામાં આવશે.
તેમણે કહ્યું કે બેઠકમાં કેન્દ્રના પ્રસ્તાવથી 20 રાજ્યો સહમત હતા. જો કે કેટલાક રાજ્યોએ આ પ્રસ્તાવ ઠુકરાવી પણ દીધો છે. એક રીતે જોવા જઈએ તો GST કોમ્પેનસેશનના મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. નાણામંત્રીના કહેવા પ્રમાણે હવે પછીની બેઠકમાં વણઉકેલ્યા મુદ્દાઓ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
કોરોના સંકટને કારણે છે આ સ્થિતિ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે રાજ્યોને તેમના વળતરની રકમનો ઇનકાર નથી કરી રહ્યા . તેમણે કહ્યું કે આ સ્થિતિ કોરોના સંકટને કારણે ઉભી થઈ છે. આવી પરિસ્થિતિની પહેલાં કોઈએ કલ્પના પણ કરી ન હતી. હાલની સ્થિતિ એવી નથી કે કેન્દ્ર સરકાર ફંડ પર કબજો કરીને બેઠી છે અને આપવાની ના પાડી રહી છે. ફંડ પણ ઉધાર લેવું પડે તેવી સ્થિતિ છે.
તેમણે કહ્યું કે બિહારના નાણામંત્રી સુશીલ કુમાર મોદીએ સૂચન કર્યું છે કે સૌએ ફરી એક સાથે વાત કરવી જોઈએ. તેથી અમે ફરીથી 12 ઓક્ટોબરે મળીશું અને આ સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવશે.
કોમ્પેનસેશન સેસ આગળ પણ લાગુ રહેશે
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે લક્ઝરી અને અન્ય ઘણી વસ્તુઓ પર કોમ્પેનસેશન સેસ 2022 પછી પણ વધારવામાં આવશે. એટલે કે કાર, સિગારેટ જેવા ઉત્પાદનો પર, કોમ્પેનસેશન સેસ ચાલુ રહેશે, રાજ્યોને નુકસાનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ મુજબ GST લાગુ થયા પછી ફક્ત પાંચ વર્ષ સુધી જ આ ટેક્સ વસૂલાવાનો હતો.
નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યો કેન્દ્ર સરકાર પાસેથી લગભગ 2.35 લાખ કરોડ GSTનું બાકી વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. બદલામાં, કેન્દ્રએ તેમને ઉધાર લેવા માટેના બે વિકલ્પો આપ્યા છે. પરંતુ કેન્દ્રોની આ ઓફર સ્વીકારવી કે નહીં તે અંગે રાજ્યો વિભાજિત છે.
શું છે વળતરનું ગણિત?
રાજ્યોનું આશરે 2.35 લાખ કરોડનું GST વળતર બાકી છે, પરંતુ કેન્દ્ર સરકારનું ગણિત એ છે કે, GSTના અમલીકરણને કારણે લગભગ 97,000કરોડનું નુકસાન થયું છે, બાકીના આશરે 1.38 લાખ કરોડનું નુકશાન કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ગયું છે.