રાજકોટ ખાતે શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલની નારાજગી અને નરેશ પટેલના રાજકારણમાં આગમન મુદે સૂચક નિવેદન આપ્યું હતું.
રાજકોટમાં શક્તિસિંહ ગોહિલનું મીડિયાને સંબોધન
કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે
નરેશ પટેલના રાજકારણમાં આગમન મુદે ચુપકીદી
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને હાર્દિક પટેલ અને નરેશ પટેલ મામલે હાલ અટકળોની આંધી જેવો માહોલ છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળોને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેવાંમાં રાજકોટ ખાતે હાર્દિક પટેલ મુદે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું. વધુમાં તેઓએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. બીજી તરફ તેઓએ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મામલે કોઇપણ બાબતની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
ભાજપમાં રાજકીય હત્યાઓ થાય છે : શક્તિસિંહ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલની કોંગ્રેસની સાથે નારાજગી સામે આવી રહી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટુંક સમયમાં હાર્દિક પટેલ મોટો નિર્ણય લઇ શકે છે. ત્યારે હાર્દિક પટેલ મુદ્દે શક્તિસિંહ ગોહિલે આજે રાજકોટમાં મીડિયાને સંબોધન કર્યું હતું. આ મામલે શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. એટલે જ મારા નાનામાં નાના કાર્યકર બોલી શકે છે અને પોતાની વાત મૂકી શકે છે. જ્યારે ભાજપ વિરુદ્ધ ચાબખા મારતા તેમણે જણાવ્યુ હતું કે ભાજપમાં રાજકીય હત્યાઓ થાય છે. વધુમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપમાં કોઈ પણ નેતા હીરોમાંથી ઝીરો બની શકે છે. તેમ પણ શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું હતું.
નરેશ પટેલ મારા મિત્ર છે: શક્તિસિંહ
વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં શક્તિસિહે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ મુદ્દે ચુપકીદી સીવી લીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે કોઈ પણ શક્યતાઓ વિષે કાઈ ન કરી શકાય. તેમ નરેશ પટેલના રાજકારણમાં આગમન મુદ્દે હાલ હુ કહી ન શકું તેમ જણાવ્યુ હતું. નરેશ પટેલ મારા મિત્ર છે. વધુમાં હું દિ્લ્લીની જવાબદારી સંભાળતો હોવાથી ગુજરાતની આ ગતિવિધિથી વાકેફ રહેતો નથી તેમ નિવેદનના અંતમાં ઉમેર્યું હતું.
PM ના કાર્યક્રમમાં નરેશ પટેલને અપાયું આમંત્રણ
બીજી તરફ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને પગલે તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. PMના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થશે જે અંગે
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સૌરાષ્ટ્રના 9 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી હોવાનું ભરત બોઘરાએ નિવેદન આપ્યું હતું.