વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પથ્થરમારો કરનારા સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે.
વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો
રાજકોટમાં મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
પથ્થરમારવા વાળાને પથ્થર જ ભૂલાઈ જશેઃ ઋષિકેશ પટેલ
વડોદરામાં રામ નવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા CCTV કેમેરામાં કેદ થયેલા લોકોની શોધખોળ કરી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલ 23 આરોપીઓને ગતરોજ કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યારે 5 આરોપીઓના 2 એપ્રિલ સુધીનાં 12 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 18 આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો હતો. હવે પથ્થરમારા મામલે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
પથ્થરમારા મામલે ઋષિકેશ પટેલનું નિવેદન
રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગઈકાલે હર્ષભાઈએ પણ નિવેદન આપ્યું હતું, આજે હું પણ કહું છું કે આ પથ્થર મારવાવાળા પથ્થર ભૂલી જાય, ભવિષ્યમાં પણ પથ્થરની સામે જોવાનું મન ન થાય એ પ્રકારના કડક પગલા ભરવા માટે ગુજરાત સરકાર બિલકુલ કટિબદ્ધ છે. કદાચ તમને ખબર હશે કે, વર્ષો પહેલા જગન્નાથજીની યાત્રા દરમિયાન પણ કેટલાપાણીએ આપણા મગ ચઢતા હતા, આજે બિલકુલ શાંતિ પૂર્વક રીતે નીકળી રહી છે. એવી જ રીતે આ અસમાજિક તત્વો સામે કડકહાથે કાર્યવાહી કરવાનો આદેશ પણ સરકારે કરી જ દીધો છે.
અસમાજિક તત્વો સામે ભરાશે કાયદેસરના પગલાઃ ઋષિકેશ પટેલ
તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ તમે દ્વારકાનો બનાવ જોયો જ હશે. ગેરકાયદેસર કામ કરનારાઓ ઉપર ગુજરાત સરકારે આકરી કાર્યવાહી કરી હતી. બેટ દ્વારકામાં પણ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવેલ છે. એવી જ રીતે આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર સુનિશ્ચિત પગલાં લઈ રહી છે.
શું હતો સમગ્ર મામલો?
દેશભરમાં રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી. પથ્થરમારા બાદ તંગદિલી ઉભી થવા પામી હતી. પથ્થરમારા બાદ હિન્દુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.
ગૃહમંત્રીની અસામાજીક તત્વોને ચેતવણી
આ ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પથ્થરમારો કરનારને ચેતવણી આપી હતી કે, 'રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે, તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલા ભરવામાં આવશે.'
પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોંબિંગ કર્યું
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી 25 તોફાનીઓને પોલીસે પકડી પાડ્યા હતા.