જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી પૂર્ણ, રિપોર્ટ રજૂ કરવા 2 દિવસનો સમય માંગ્યો
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોરારિ બાપુનું નિવેદન
"સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં"
"સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ"
ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇ સોમવારે મોટો દાવો કરવામાં આવ્યો હતો. દાવા અનુસાર મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યું છે. જે બાદ કોર્ટે મસ્જિદના આ ભાગને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન મુસ્લિમ પક્ષ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યું છે. હાલ સુનાવણી ચાલી રહી છે. જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જિલ્લા કોર્ટ આ મામલે ચુકાદો આપે, બે દિવસમાં કોર્ટ કમિશનર વિશાલસિંહ રિપોર્ટ સોંપશે. દીવાલ તોડવાની અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
જે થયું છે એ ઇતિહાસ કોઈ બદલી ન શકે : મોરારિ બાપુ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે કથાવાચક મોરારિ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં.સમગ્ર મામલે 2 દિવસમાં સત્ય બહાર આવશે. ઈતિહાસમાં જે કંઈપણ થયું એનાથી તમામ વાકેફ છે. જે થયું છે એ ઇતિહાસ કોઈ બદલી ન શકે, સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ.જ્યાં જ્યાં પણ આવું થયું ત્યાંથી સત્ય બહાર આવશે. સમગ્ર મામલો કોર્ટમાં છે અને સત્ય બહાર આવશે.
મીડિયામાં માહિતી લીક કરવા બદલ અજય મિશ્રાને કમિશનર પદેથી હટાવ્યાં
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું હતું, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ કેસની આજે થયેલી સુનાવણીમાં કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. અજય મિશ્રા મીડિયામાં માહિતી લીક કરતા હોવાથી કોર્ટે તેમની સામે કાર્યવાહી કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે અજય મિશ્રાના સહાયક આરપી સિંહ મીડિયામાં માહિતી લીક કરી રહ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે અજય મિશ્રાને પણ હટાવવાની માગણી કરી હતી. સાથે જ અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો ભાગ રહેશે.વારાણસી કોર્ટે આ કેસમાં બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે
આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. સમિતિએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં સર્વે કરવા પર સવાલો ઉઠાવ્યા છે.
મુસ્લિમ પક્ષના વકીલનો દાવો- હિન્દુ પક્ષનો ઉપયોગ પાયાવિહોણો
મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ અભયનાથ યાદવના જણાવ્યા અનુસાર કોર્ટ કમિશનરે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો નથી અને બે દિવસનો સમય માગ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી તદ્દન પાયાવિહોણી છે. નંદીની ધરી માપવા, દીવાલ તોડવાનું કહેવામાં આવ્યું છે, જે ખોટું છે. કાટમાળ હટાવવાની અરજી ખોટી કે કાયદેસર છે, આ માંગ ધાર્મિક સ્થળના કાયદાની વિરુદ્ધ છે. જેના પર કોર્ટે વિચાર કરવાનો નિર્ણય લેવાનો છે. અભયનાથ યાદવે વધુમાં જણાવ્યું હતું કે શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, તે પહેલા માળે છે, શિવલિંગ હવામાં ઝૂલતું નથી, શિવલિંગ જમીનમાં છે. શિવલિંગ પર હિન્દુ પક્ષનો દાવો તેનો પોતાનો અભિપ્રાય છે. આ રિપોર્ટમાં નક્કી કરવામાં આવશે કે શિવલિંગ છે કે નહીં. કોર્ટે વાંધા દાખલ કરવા માટે સમય આપ્યો છે, જે પછી અમે અમારો વાંધો દાખલ કરીશું
શિવલિંગ મળવાથી કોર્ટે વજુખાના કર્યું સીલ- વિષ્ણુ જૈન, હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિષ્ણુ જૈનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મસ્જિદમાં સર્વે કરવા સમયે વજુખાનામાં દિવાલ જેવી વસ્તુ જોવા મળી હતી. જેથી વજુખાનાનું પાણી ઓછું કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો. આ વજુખાનામાંથી અઢીથી 3 ફૂટ લાંબુ શિવલિંગ મળ્યું છે. જેથી કોર્ટે વજુખાનું સીલ કર્યું છે.
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદના મૂળમાં શું છે?
વારાણસીના જ્ઞાનવાપી મસ્જીદ કેસને લઈને હિંદુ-મુસ્લીમ પક્ષકારો અલગ અલગ દાવો કરી રહ્યા છે.વારાણસીની કોર્ટમાં મંદિરના દાવા સાથે પહેલીવાર કેસ થયો છે અને આ કેસમાં કોર્ટ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.કોર્ટે આપેલી ટાઈમલાઈન મુજબ સર્વેનો રિપોર્ટ સોંપાઈ ચુક્યો છે.તો બીજી બાજુ મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યાનો દાવો પણ હિંદુ પક્ષકારો દ્વારા કરાયો છે..12 ફૂટ 8 ઈંચ ઉંચા શિવલિંગના દાવાને લઈને હવે મામલાએ પણ તૂલ પકડ્યુ છે.તો આ તરફ મુસ્લીમ પક્ષકારો સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા છે અને વારાણસી કોર્ટના નિર્ણયને પડકાર્યો છે..હવે સવાલ એ છે કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદના મૂળમાં શું છે? કેમ મંદિર-મસ્જિદ જ રાજકારણનો મુદ્દો બને છે? શું હિંદુ મંદિરોનો ઈતિહાસ ફરી લખાઈ રહ્યો છે?