ગુજરાતમાં ભારે વરસાદ પડતાં સરકાર એક્શનમાં આવી છે. મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપાતા સૌ પોત પોતાના વિસ્તારમાં રાહત બચાવ કાર્ય માટે નીકળી ગયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 179 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. તેમાં પણ ડેડીયાપાડામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે તો ઉમરપાડામાં 14 ઈંચ, તિલકવાડામાં 11 ઈંચ વરસાદ નાંદોદમાં 10.5 ઈંચ, સુબીરમાં 10 ઈંચ, કપરાડામાં 9 ઈંચ, સાગબારામાં 8.5 ઈંચ, ડાંગના આહ્વામાં 8.15 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા, ભરૂચમાં તંત્ર દ્વારા રેડ અલર્ટ જાહેર કરવામા આવ્યું હોય તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
10 હજારથી વધુ લોકોનું રેકસ્યું કરાયું
વધુમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે તંત્ર રાહત બચાવની કામગીરી ખુબ ઝડપથી કરી રહ્યું છે. અત્યાર સુધી 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે બચાવાયેલા લોકો માંથી 6853 લોકો હેમખેમ પોતાને ઘરે પરત ફર્યા છે. બપોર બાદ વરસાદમાં ઘટાડો થયો છે.
જિલ્લો
સ્થળાંતર
છોટા ઉદેપુર
5278
નવસારી
2902
પોરબંદર
801
આણંદ
630
વલસાડ
469
તાપી
235
દેવભૂમિ દ્વારકા
120
કચ્છ
130
નર્મદા
85
વડોદરા
24
રાજ્યમાં વરસાદથી 63 લોકોના મોત
રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનોને સંપૂર્ણ નુકશાન પહોચ્યુ છે. 24 કલાકમાં 11 ઝૂપડા પણ બરબાદ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 272 પશુઓના વરસાદથી મૃત્યુ થયા છે. તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોના મૃત્યુ તેમજ વીજપોલ પડી જતા એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 468 નાગરિકો ઘરે પરત ફર્યા છે.
સર્વે બાદ યોગ્ય સહાય મળે તેવી આશા
રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર સહિતના તમામ તંત્રના અધિકારીઓ સતત કામે લાગ્યા છે. નર્મદાની સ્થિતિ અંગે વાત કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તંત્રએ પૂર્વ તૈયારી કરી લીધી છે. સ્થળાંતર માટેની તમામ વ્યવસ્થાઓ પણ થઇ ચુકી છે. જેમણે રોજિંદી આવક ગુમાવી છે તેમના માટે સર્વે બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ સર્વેના આધારે અસરગ્રસ્તોને સહાય જાહેર કરવામાં આવશે.
નવસારીમાં મંગળવારે રજા જાહેર
નવસારીના તમામ તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે આવતીકાલે મંગળવારે તમામ શાળાઓમા રજા જાહેર કરાઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરે નિર્ણય લીધો છે. અંબિકા નદી બે કાંઠે વહેતા કલેક્ટર અને DDOએ જાત મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો છે.
ધોરાજી તાલુકાના ભૂખી 2 ડેમ 100 ટકા ભરાયો
સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર યથાવત છે. ત્યારે ધોરાજી તાલુકાના ભૂખી 2 ડેમ 100 ટકા ભરાયો છે.જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા હતાં.તેમ છતાં ડેમના નીચાણવાળા વિસ્તારમાં લોકો ન્હાવાની મજા માણી રહ્યા હતા.ડેમમાં ન્હાવા જતાં લોકોનો વીડિયો અને સમાચાર VTV દ્વારા બતાવવામાં આવ્યા હતાં જે અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને પોલીસ દ્વારા તમામ લોકોને ડેમના પટમાંથી કાઢવામાં આવ્યા હતાં.
વાલીયાના રાજપરા ગામે ચેકડેમ ઓવરફ્લો
ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ભરૂચના વાલીયા તાલુકાના રાજપરા ગામે ચેકડેમ ઓવરફ્લો થયો છે.ડેડીયાપાડા, નેત્રંગ વાલીયા તાલુકામાં ભારે વરસાદના પગલે ચેકડેમો ઓવરફ્લો થયાં છે.ચેકડેમ ઓવરફ્લો થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જયારે ગ્રામજનોએ નવાનીરના વધામણાં કર્યા હતાં.