વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અર્બન નક્સલવાદ મુદ્દે સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અર્બન નક્ષલની ટીમ આપણી પાછળ પડી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ગુજરાતને તોડવાના પ્રયત્નો થયા છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતને તોડવાના થાય છે પ્રયત્નોઃ ગૃહ રાજ્યમંત્રી
તાજેતરમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસના બીજા દિવસે ભરૂચમાં અર્બન નક્સલીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ હવે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ફોટક નિવેદન આપ્યું છે.
અર્બન નક્સલીની આખી ટોળકી રચી રહી છે ષડયંત્રઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, આપણા ધર્મ અને આપણી આસ્થાને ઠેસ પહોંચાડવા માટે દરેક વખતે અલગ-અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. એક અર્બન નક્સલની આખી ટોળકી આના પર ષડયંત્ર રચીને આપણી પાછળ પડેલી છે. આ વીડિયો જરૂરથી સાંભળજો, આવા નેતાઓને જરૂર ઓળખજો. આવા નેતાઓને ખુલ્લા પાડવામાં કોઈ કસર છોડતા નહીં, કારણ કે આ પ્રકારના અર્બન નક્સલોને આપણી સંસ્કૃતિ પર મનફાવે ત્યારે જે પ્રકારના બેફામ લવારા કરવાની આદત પડી ગઈ છે, એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતને તોડવાના થાય છે પ્રયત્નોઃ ગૃહ રાજ્યમંત્રી
તેમણે જણાવ્યું કે, હું જ્યારથી સમજતો થયો છું ત્યારથી હું જોવું છું સપ્ટેમ્બર-ઓક્ટોબર આવે એટલે એક સિઝન આવી જાય. દેશભરની તમામ તાકાતો એકસાથે લાગી જાય અને દેશભરની તમામ તાકાતો એકસાથે લાગીને ગુજરાતને કઈ રીતે તોડી શકાય એ તોડવાના પ્રયત્નો ચાલુ થઈ જાય.
આ બધાનો રાજગાર ગુજરાત તોડવા ઉપર ચાલે છેઃ સંઘવી
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, અર્બન નક્સલીઓને પાછલા બારણે ગુજરાતમાં કઈ રીતે ઘુસાડય એ માટે દરરોજ પ્રયાસો થઈ રહ્યા છે. આવા એકપછી એક નેતા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં આવે અને ડિસેમ્બરમાં પોટલા બાંધીને પાછા પોતાના ગામે પહોંચાડવાની તમારી જે આદત છેને એ આદતથી તેઓ ટેવાઈ ગયા છે. આ બધાનો રોજગાર જ ગુજરાત તોડવા ઉપર ચાલે છે. ગુજરાતની અંદર અશાંતિ કેવી રીતે ફેલાઈ તેના પર જ ચાલે છે.
ભરૂચમાં પીએમ મોદીએ નક્સલવાદને લઈ કર્યા હતા પ્રહાર
આપને જણાવી દઈએ કે, ભરૂચમાં સંબોધન કરતાં પીએમ મોદીએ ગુજરાતમાં પ્રવેશતા નક્સલવાદને લઈને બોલ્યા હતા કે, ' ગુજરાતમાં આ અર્બન નક્સલ હવે નવા રંગ-રૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. વાઘા બદલીને અને ઉત્સાહી જુવાનીયાઓને ભરમાળી રહ્યા છે. '
બંગાળનું આપ્યું હતું ઉદાહરણ
આ સાથે જ બંગાળના નક્સલવાદનું ઉદાહરણ આપીને ગુજરાતના આદિવાસીઓને સંબોધતા પીએમ મોદી બોલ્યા હતા કે, ' ગુજરાતના મારા આદિવાસી ભાઈઓને હું ખાસ કહેવા માંગીશ કે બંગાળમાં નક્સલવાદ શરૂ થયો. ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશનો થોડો ભાગ, ઓડિશા, આંધ્ર-તેલંગણા અને મહારાષ્ટ્રમાં ગઢચિરોલી ત્યાંના અમારા આદિવાસી જુવાનીયાઓની જિંદગી એમને ખરાબ કરી નાખી. એમના હાથમાં બંદુકો પકડાવી દીધી. મોતના ખેલ ખેલવા માટે એમને ઉશ્કેર્યા. ચારે બાજુ સંકટ વધ્યો અને એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આખો પૂર્વ પટ્ટો અને મારા ગુજરાતના આદિવાસીઓ. હું ગુજરાતમાં નક્સલવાદને પગ પેસારો નહીં કરવા દઉં, મારે મારા આદિવાસી ભાઈઓ-બહેનોની જિંદગી બચાવી છે. મારે એમના જીવનમાં આ પ્રકારની બીમારી ન ઘૂસે એ માટે મહેનત કરવી અને એટલા માટે ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં વિકાસનું અમે બેડું ઉઠાવ્યું અને હું સંતોષ સાથે કહીશ કે મારી વાતને મારા આદિવાસી ભાઈઓ બહેનોએ સાંભળી અને માથે ચઢાવી અને સારા દિવસો આવશે એવો વિશ્વાસ રાખ્યો અને તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં નક્સલવાદ એ રસ્તેથી ઘૂસી ન શક્યું અને એ માટે હું મારા આદિવાસી ભાઈઓ બહેનોને પ્રણામ કરું છું.'
ભરૂચમાં વડાપ્રધાન | ઉપરથી ઉડીને અર્બન નક્સલો હવે પગ પેસારો કરી રહ્યા છે, આ અર્બન નક્સલોએ દેશને ખેદાન-મેદાન કરવાનું નક્કી કર્યું છે, પણ ગુજરાત તેમને જમીનદોસ્ત કરશે : PM #bharuch@PMOIndia@narendramodipic.twitter.com/Kn6ykWW3yG
અર્બન નક્સલને ગુજરાત જમીન દોસ્ત કરશે: PM
આગળ પીએમ મોદીએ કહ્યું હતું કે, ' હવે ઉપરથી ઉડીને અર્બન નકસલો પગપેસારો કરવા માંડ્યા છે અને ગુજરતની યુવા પેઢીને મારે તબાહ નથી થવા દેવાની. દરેક એમના સંતાનોને સચેત કરે કે આ અર્બન નકસલોએ દેશને ખેદાન-મેદાન કરવાનું બીડું ઉઠાવ્યું છે, વિદેશી તાકાતના એજન્ટો બનીને બેઠા છે અને તેની સામે ગુજરાત માથું નહીં નમાવે. ગુજરાત તેને જમીન દોસ્ત કરીને રહેશે એ વિશ્વાસે આગળ વધવું છે. એવા દિવસો હતા કે આપણે ત્યાં આદિવાસીઓ મુખ્યમંત્રી રહેલા પણ ઉમરગામ થી અંબાજી સુધી આંગળીને ટેરવે ગણાઈ એટલી પણ શાળાઓ નહતી.'