મહેસાણા જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ કહ્યું કે પરીક્ષા રદ નહીં થાય, કોપી કેસ મામલે 8 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
મહેસાણાના ઉનાવા પેપર મામલે મહેસાણા જિલ્લા પોલીસવડાનું નિવેદન
પેપર કોઇ સ્થળે લીક નથી થયું
માત્ર આ સેન્ટર પર પેપરનો ફોટો પાડવામાં આવ્યો છે
ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડો થવા અને પેપર લીક થવા હવે સામાન્ય બની ગયું છે..મોટેભાગેની સરકારી ભરતીઓમાં છાશવારે પેપર ફૂટતા હોય છે..ત્યારે ફરી વાર વન રક્ષકની પરીક્ષામાં પેપરમાં ગેરરીતિ અહેવાલ સામે આવ્યા હતા તો બીજી તરફ પેપર લીકની ઘટનાને લઈને ચૂંટણી પહેલા રાજનીતિ શરૂ થઈ છે.તેવામાં મહેસાણાના ઉનાવા પેપર મામલે મહેસાણા જિલ્લા પોલીસવડાએ નિવેદન જાહેર કર્યું છે.
પરીક્ષા રદ નહીં થાય: ડૉ પાર્થરાજ સિંહ ગોહિલ, એસ પી, મહેસાણા
મહેસાણા જિલ્લા પોલીસવડાએ તમામ પરીક્ષાર્થીઓ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે પેપર કોઇ સ્થળે લીક નથી થયું. માત્ર આ સેન્ટર પર પેપરનો ફોટો પાડવામાં આવ્યો છે. પરીક્ષા રદ નહીં થાય.
'પેપર ફૂટવાની અફવા ફેલાવનારા સામે કાર્યવાહી થશે'
સાથે જ તેમણે પેપર ફૂટવાની અફવા ફેલાવનારા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર પણ કરી હતી. અને જણાવ્યું હતું કે કોપી કેસ મામલે 8 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આન્સર કી સળગાવી દેવા મામલે પુરાવાનો નાશ કરવા અંગેની પણ ફરિયાદ માટેની કલમનો ઉમેરો કરાશે. હાલ પોલીસે સાંયોગિક પુરાવા એકત્રિત કરવા તપાસ શરૂ કરી હોવાની પણ વાત કરી છે.
'આ સોલ્વ કરેલા પેપરનું ચોક્કસ પરીક્ષાર્થીને ફાયદો કરાવવા માટેનું કાવતરું હતું'
પોલીસ વડાએ તેમણે પેપર લીક થયા મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પેપર ફૂટ્યુ નથી,પરંતુ કેટલાક લોકો દ્વારા ચોક્કકસ વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા આ કૃત્ય કરાયું છે. પરીક્ષા બપોરે 12 વાગે શરૂ થઇ હતી અને 12 વાગ્યેને 5 મિનિટે મોબાઇલમાં પેપરનો ફોટો પાડવામાં આવ્યો હતો. આ ફોટો પાડયા બાદ પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. આ સોલ્વ કરેલા પેપરનો ચોક્કસ પરીક્ષાર્થીને ફાયદો કરાવવા માટેનો હતો. આ સમગ્ર ઘટનાને પગલે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોપીરાઇટ અને આઇટી એકટ તેમજ ઠગાઇ મામલે ફરિયાદ દાખલ કરી છે
પેપરકાંડમાં રાજુ ચૌધરી નામનો શિક્ષક શંકાના દાયરામાં
પરીક્ષામાં ગેરરીતિ મામલે મહેસાણા પોલીસે રાજુ ચૌધરી નામના યુવકની અટકાયત કરી છે. હાલ તેને વધુ પૂછપરછ માટે ઉનાવા પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. રાજુ ચૌધરી ખાનગી પ્રાઇમરી શાળાનો શિક્ષક છે, તેણે લેટરપેડ પર જવાબો લખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ગેરરીતિ કેસમાં તાબડતોબના ધોરણે સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અટકાયત કરેલ રાજુ ચૌધરીની સઘન પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી શકે છે.
શાળાના પ્યૂન ઘનશ્યામ ભેમજીભાઈએ લેટરપેડ સળગાવ્યું
વનરક્ષક પરીક્ષાના પેપરમાં શાળામાં ગેરરીતિ થઈ તે એક લેટરપેડમાં લખાયેલું મળી આવ્યું હતું પણ મળતી માહિતી અનુસાર ઉનાવાના પેપરકાંડમાં નવો ખુલાસો થયો છે કે જે લેટર પેડમાં જવાબો મળ્યાએ સળગાવી દેવામાં આવ્યું છે. શાળાના જ પ્યૂનએ લેટરપેડને સળગાવી દીધું છે. હાલમાં પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ લીધી છે. પિયૂન ઘનશ્યામ ભેમજીભાઈ કોના કહેવાથી લેટરપેડ સળગાવી દીધું અને કેમ સળગાવ્યું તેની તપાસ માટે શિક્ષક સાથે પિયૂનની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.