પત્નીના બબાલ વાળા વીડિયો મુદ્દે જગદીશ ઠાકોર આવ્યા ભરતસિંહના બચાવમાં, કહ્યું ભરતસિંહ બુમો પાડીને શું કહી રહ્યાં છે તે કેમ નથી દર્શાવ્યું?
ભરતસિંહ સોલંકીના વીડિયો અંગે નિવેદન
જગદીશ ઠાકોરે ભરતસિંહનો કર્યો બચાવ
'વીડિયોને નેતાના રંગરેલીયા તરીકે દર્શાવ્યો'
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો વીડિયો ગઈકાલ બુધવારથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પત્ની રેશ્મા પટેલને ભરતસિંહના ઘરે યુવતી જોવા મળતા તે ભારે હોબાળો મચાવે છે. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ઝપાઝપી થયેલી જોવા મળે છે. તેમજ ઉગ્ર બનેલી રેશ્મા પટેલ ભરતસિંહ સાથે હાજર યુવતીને મારઝૂડ કરતી પણ જોવા મળે છે.
'વીડિયોને નેતાના રંગરેલીયા તરીકે દર્શાવ્યો પણ ભરતસિંહે શું કહ્યું તે દર્શાવ્યું': જગદીશ ઠાકોર
અરવલ્લીના ભિલોડોમાં કોંગ્રેસના શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકીના વીડિયો અંગે નિવેદન આપ્યું છે. ભરતસિંહનો બચાવ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે વીડિયોને નેતાના રંગરેલીયા તરીકે વાયરલ કરાયો છે પરંતુ ભરતસિંહ બૂમો પાડીને શું કહી રહ્યાં છે તે કેમ નથી દર્શાવ્યું તેવા સવાલો જગદીશ ઠાકોરે ઉઠાવ્યા હતાં..
ભરતસિંહ સોલંકી પત્ની સાથેના વિવાદ અંગે કરશે ખુલાસા
આવતીકાલે સવારે 11 વાગ્યે કરશે પત્રકાર પરિષદ
ભરતસિંહના ઘરે તેમની પત્ની રેશ્મા પટેલે કર્યો હતો હોબાળો
અન્ય સ્ત્રી સાથે ભરતસિંહ જતાં પત્નીએ કર્યો હતો હોબાળો
પત્ની સાથે ભરતસિંહ સોલંકીનો ચાલી રહ્યો છે વિવાદ
વાયરલ વીડિયો કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે પહોંચ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી
ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનો વાયરલ વીડિયો કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે પહોંચ્યો છે. ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત પર પાણી ફરી રહ્યું છે. પાર્ટીની છબી ખરાબ થઈ રહી છે.ભરતસિંહ સોલંકી ના સુધરે તો રાજકારણ છોડે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.રાહુલ ગાંધીએ ગુજરાતના એક નેતાને ભરતસિંહને મળવા આદેશ કર્યો છે. મળીને સમગ્ર મામલે સાચી હકીકત આપવાનું જણાવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
ગઈકાલે બુધવારે ભરતસિંહ સોલંકીના પત્નીએ VTV પર ખુલાસો કરતા જણાવ્યું કે, 'હું ભરતસિંહને સમજાવવા પહોંચી હતી. હું હજુ પણ મારા પતિને ચાહુ છું. હું ઇચ્છું છું કે મારા પતિ મારી સાથે પરત આવી જાય. હું મારા પતિને ઘણા સમયથી શોધતી હતી. પછી મને ગઇ કાલે અચાનક ખબર પડી કે તેઓ આણંદ વિદ્યાનગર નજીક ઋતુરાજ આઇસક્રીમની દુકાન આગળ આઇસક્રીમ ખાતા હતા, ત્યારે બંનેને હું જોઇ ગઇ, એટલે મે ગાડી ફોલો કરી અને પછી તે જ્યાં રહે છે, પેલી છોકરી સાથે હું ત્યાં ગઇ. ત્યાં હું ગઇ એટલે ઘરનો દરવાજો બંધ હતો. હું ચૂપચાપ ઉભી રહી અને પછી તેઓએ દરવાજો ખોલ્યો અને પછી હકીકતમાં તો હું તેમને સમજાવવા જ ગઇ હતી. મારી લાગણી હતી એટલાં માટે જ હું તેમને લેવા ગઇ હતી. પરંતુ ત્યાં થોડીક માથાકૂટ થઇ અને તેમને આવવાની ના પાડી. તેમને મારી સામે હાથ ઉગામવાની કોશિશ કરી, અને થોડીક માથાકૂટ થઇ, ઝપાઝપી થઇ ગઇ.'
એ માણસ વ્યભિચાર કરે છે એટલે કોંગ્રેસ પક્ષને પણ નુકસાન થઇ રહ્યું છે: રેશ્મા
અત્યારે મારી પાસે નથી ખાવાના પૈસા કે નથી મને કંઇ ભરણપોષણ આપતા, કશું જ નહીં. અને પેલી મહિલા સાથે જ્યાં રહે છે તેને બધું જ આપે છે, તેને ઘર પણ લાવી આપ્યું છે, તેને ખાવાપીવાની અને ગાડીની બધી જ સગવડ કરી છે. તો આજે હું તો એમની કાયદેસરની પત્ની છું, મારો અધિકાર છે અને તે આવી રીતે ઐયાશી કરે એ તો ના ચાલે ને. કંઇ પત્ની સહન કરી શકે? અને હું બધાને કહું છું, આખાય કોંગ્રેસ મોવડીમંડળને વિનંતી કરું છું, મે અનેક વાર ફરિયાદો પણ કરી છે કે એમને સમજાવે, પાછા લાવે. તેઓ પાછા લાઇન પર આવી જાય. કારણ કે એ માણસ વ્યભિચાર કરે છે એટલે કોંગ્રેસ પક્ષને પણ નુકસાન થઇ રહ્યું છે.'
પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી: ભરતસિંહ સોલંકી
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લાં 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાંકીય લેવડ દેવડ કરવી નહીં. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.'
મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા: રેશ્મા પટેલ
વધુમાં જણાવી દઇએ કે, રેશ્માબેન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મે તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરંતુ સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.