રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. દિકરીઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ક્યારેક પિતા દ્વારા દિકરી પર દુષ્કર્મ ગુજારવાનુ સામે આવે છે તો ક્યારેય પરિવારમાંથી જ કોઇ વ્યક્તિ દિકરી સામે નજર બગાડે છે. રોજબરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે. ટ્યુશન સંચાલક દ્વારા તો ક્યારેક મિત્ર અને પાડોશીની હેવાનિયતનો ભોગ પણ દિકરીઓ બને છે. આ તમામ બાબતે આપણે સવાલો તો ઉઠાવીએ છીએ કે રાજ્યમાં દિકરીઓ સુરક્ષિત નથી. પોલીસ પર પણ સવાલો કરવામાં આવે છે ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનુ નિવેદન આપ્યું.
દુષ્કર્મની ઘટનાઓ વધવા પાછળ જવાબદાર છે મોબાઇલ. જી, હા મોબાઇલમાં મળી રહેતી માહિતી આ પ્રકારની પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. દર વખતે પોલીસ સ્ટ્રીક છે કે નહી તેનાથી કંઇ નથી થતુ. આ શબ્દો છે ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવીના. ગૃહ રાજ્યમંત્રીએ એક કાર્યક્રમમાં આ અંગે સંબોધન કરતા જણાવ્યું કે દુષ્કર્મ જેવી ઘટના બન્યા બાદ પોલીસ પર સીધો આક્ષેપ કરવામાં આવે છે જે ખોટું છે. દુષ્કર્મના બનાવો એ સૌથી મોટો સોશિયલ ઇશ્યુ છે. તેઓએ એક ઉદાહરણ આપતા સમજાવ્યુ કે જ્યારે કોઇ એક બાપ પોતાની દિકરી પર રેપ કરે તો તેની પાછળ સૌથી મોટુ કારણ મોબાઇલ છે. મહત્વનું છે કે તેમણે દુષ્કર્મના બનાવ વધવા પાછળનું કારણ જાણવા માટે સરવે કરાવ્યો હતો તેમાં આ કારણ સામે આવ્યુ છે.
પોલીસ પર સીધો આક્ષેપ કરવો ખોટો
દુષ્કર્મની ઘટનાઓ વધવા અંગે જ્યારે સરવે કરવામાં આવ્યો તેમાં બીજુ સૌથી મોટુ કારણ એ પણ સામે આવ્યુ કે પાડોશીઓ અને નજીકના લોકો પણ કારણભૂત છે. એટલે કે ગૃહમંત્રીનું અહીં ચોખ્ખુ કહેવુ છે કે આવી ઘટનાઓ પાછળ પોલીસને દર વખતે જવાબદાર ઠેરવવી ખોટી છે. રાજ્યમાં વારંવાર થતી રેપની ઘટના સમાજ માટે કલંકરૂપ છે. ગુજરાત આજે પણ દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે.