ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જયનારાયણ વ્યાસ અંગે નિવેદન આપ્યું છે.
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. જયનારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. એવામાં હવે આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપ્યું છે.
પાર્ટીનો આભાર માનીને આપ્યું રાજીનામુંઃ પાટીલ
સી.આર પાટીલે જણાવ્યું કે, જયનારાયણભાઈ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા. તેઓ 2 વખત હાર્યા છતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. તેમણે કેબિનેટ મંત્રી સુધી સેવા આપી છે. 75 વર્ષની ઉંમર પછી ટિકિટ ન આપવાનો ભાજપનો નિયમ છે એના કારણે અથવા અન્ય કોઈ કારણોસર પાર્ટીનો આભાર માનીને તેમણે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
Gujarat | He was with BJP for 32 yrs & in last 10 yrs, he lost elections twice still BJP gave him ticket. BJP decided not to give tickets to candidates above age of 75. It might be reason behind his resignation:State BJP pres CR Paatil on BJP leader JN Vyas's resignation from BJP pic.twitter.com/JDq5ExaVZV
અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. જે બાદ તેઓએ અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બંન્ને રાજકારણીઓની બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
મુલાકાત અંગે કરી હતી સ્પષ્ટતા
જોકે, બાદમાં તેઓ આ મુલાકાત અંગે સ્પષ્ટતા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા. ચાર મહિના પહેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સિદ્ધપુરનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતા જયનારાયણ વ્યાસ ગુજરાત સરકાર, ભાજપ સંગઠન અને કેટલેક અંશે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે