બરોડા ડેરીમાં ચાલતા ભાવ ફેરના વિવાદને શાંત કર્યા બાદ વડોદરાની મુલાકાતે પહોંચેલા સી આર પાટીલે કહ્યું હતું કે પશુપાલકોને 18 કરોડ રૂપિયા દશેરા પહેલા આપી દેવાશે
બરોડા ડેરી અભિવાદન સમારોહમાં સી આર પાટીલનું નિવેદન
મારી પાસે 700 ભેસ અને 100 ગાયો હતીઃ પાટીલ
પશુપાલકોને 18 કરોડ રૂપિયા દશેરા પહેલા આપી દેવાશે:પાટીલ
બરોડા ડેરી અભિવાદન સમારોહમાં સી.આર.પાટીલનું સંબોધન વખતે તેમના ભૂતકાળને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે હું પણ દૂધ ઉત્પાદક હતો, 700 ભેસ અને 100 ગાયો હતી પણ ભાવ ન મળતા નુકસાન થયું એટલે વેચી દીધી, તેમણે બનાસકાંઠાનો અભ્યાસ કરી વ્યવસાય શરૂ કર્યો હોવાની પણ વાત કરી હતી.
મુંબઇ અને ગોવાની ચા ગુજરાતના દૂધથી બને છે
બરોડા ડેરીના અભિવાદન કાર્યક્રમમાં સી આર પાટીલે ગુજરાતના દૂધ ઉત્પાદન વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે બનાસકાંઠામાં આર્થિક સમૃદ્વિ દૂધના કારણે આવી,દેશને મજબૂત કરવો હોય તો ગામને મજબૂત કરવું પડશે અને આ કરી બતાવવા બદલ દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને ધન્યવાદ પણ માન્યો હતો. મુંબઇ અને ગોવાની ચા ગુજરાતના દૂધથી બને છે જેનો શ્રેય તેમણે પશુપાલકોને આપ્યો હતો.
ભાવ ફેરની રકમના 18 કરોડ રૂપિયા દશેરા પહેલા આપી દેવાશે
સાથે જે થોડા દિવસ અગાઉ બરોડા ડેરીનો વિવાદ ચગ્યો હતો જેમાં સી આર પાટીલે મધ્યથી કરી ઉકળતા ચરુને શાંત પાડ્યો હતો. અને ભાવ ફેરની રકમ પશુપાલકોને ચૂકવી દેવા સૂચન કર્યું હતું જે બાદ આજે તેમણે જાહેરાત કરી છે કે પશુપાલકોના હિતોને નુકસાન નહી થવા દેવાય, 18 કરોડ રૂપિયા દશેરા પહેલા આપી દેવાશે, તેમજ બાકીના રૂપિયા પશુપાલકોને માર્ચ સુધીમાં મળશે તેવી ખાતરી પણ આપી હતી.
પશુપાલકોને થયો ફાયદો
ડેરી મંડળીઓને હાલમાં દૂધના રૂ.675 કિલો ફેટે ચૂકવાય છે
મંડળીઓ રૂ.650 જ કિલો ફેટે દૂધ ઉત્પાદકોને આપે છે
મંડળીઓ રૂ.25 જમા રાખે છે,વ્યાજ પણ ઉત્પાદકોને અપાતું ન હતું
જે હવે દશેરા પહેલા ચૂકવી દેવાશે
બરોડા ડેરી વિવાદ શું હતો?
થોડા દિવસ પહેલા બરોડા ડેરી સામે મોરચો ખોલીને બેઠેલા ધારાસભ્યો કેતન ઈનામદાર અને અક્ષય પટેલ, શૈલેષ મહેતા અને મધુ શ્રીવાસ્તવએ બરોડા ડેરીમાં થતાં ભ્રષ્ટાચાર પર વિરોધના સૂર અલાપ્યા હતા. જે બાદ ધારાસભ્યોની વાતને બરોડા ડેરી તંત્ર દ્વારા સી આર પાટિલની મધ્યસ્થતા બાદ માની લેવામાં આવી હતી. પશુપાલકોને ભાવફેરની વધુ રકમ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સમાધાનનો સીધો ફાયદો પશુપાલકોને થયો છે. જે બાદ આજે બરોડા ડેરી અભિવાદન સમારોહ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે હું પણ દૂધ ઉત્પાદક હતો, 700 ભેસ અને 100 ગાયો હતી, પણ ભાવ ન મળતા નુકસાન થયું એટલે વેચી દીધી હતી.