ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે આગામી એક બે દિવસની અંદર જ વિપક્ષના નેતાની નિમણૂંક થઈ જશે.
એક બે દિવસની અંદર જ વિપક્ષના નેતાની નિમણૂક થઈ જશે: ખેડાવાલા
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરવાની જરૂરઃ ધારાસભ્ય
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે.
વિપક્ષ નેતાની ઝડપથી કરવી જોઈએ નિમણૂંકઃ ખેડાવાલા
જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. અમે સત્ય શોધક કમિટી સમક્ષ વિપક્ષ નેતા ઝડપથી બનાવવાની રજૂઆત કરી છે. હાઈકમાન્ડે તાત્કાલિક વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરી દેવું જોઈએ. જેથી કોંગ્રેસ કાર્યકરોમાં હાલ જે થોડી ચિંતા છે, આ ચિંતા દૂર થાય અને મજબૂતીથી કોંગ્રેસના કાર્યકરો પાછા કામે લાગે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરવાની જરૂર છે.
દરેક ધારાસભ્યોને વન ટુ વન બધાએ સાંભળી લીધાઃ ઈમરાન ખેડાવાલા
ખેડાવાલાએ કહ્યું કે, કોંગ્રેસના જે 17 ધારાસભ્યો છે, તેઓને વન ટુ વન બધાએ સાંભળી લીધા છે અને કોને બનાવવા છે એની વાત પણ થઈ ગયેલી છે. પરંતુ મને લાગે છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તેમની સાથે બેઠક ન થવાને કારણે કદાચ નિર્ણય નથી લઈ શકાયો. મને લાગે છે કે આગામી એક બે દિવસની અંદર જ વિપક્ષના નેતાની નિમણૂક થઈ જશે. હાઈકમાન્ડ ગુજરાતમાં વિપક્ષના નેતા તરીકે જેમનું પણ નામ મૂકશે, એ તમામ ધારાસભ્યો સંમતિ સાથે આગળ વધશે.
20 જાન્યુઆરી પહેલા કોંગ્રેસ કરશે વિપક્ષ નેતાની જાહેરાતઃ જગદીશ ઠાકોર
આ અગાઉ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે વિપક્ષ નેતા પદને લઈને જણાવ્યું હતું કે, આગામી 20 જાન્યુઆરીએ પહેલાં કોંગ્રસ વિધાનસભાના વિપક્ષ નેતા પસંદ કરી જાહેરાત કરી નાખશે. વિધાનસભાના અધ્યક્ષ કાર્યલય તરફથી એક પત્ર કોંગ્રેસ પક્ષને મોકલવામાં આવ્યો છે. પત્ર સાથે નિયમાવલી પણ મોકલવામાં આવી છે. પક્ષના નેતા તરીકે કોને પસંદ કરો છે. તેમજ પક્ષાંતર ધારા કાયદાનું પાલન કઇ રીતે કરવા માટે નિયમ છે તે અંગે જાણકારી આપી છે.
ભાજપ ખોટો અપ્રચાર કરી રહી છેઃ ઠાકોર
તેઓએ કહ્યું હતું કે, વિપક્ષ નેતાના પદ માટે 10 ટકા બેઠક મેળવવી પડે તેવી કોઇ જોગવાઇ ગુજરાત વિધાનસભામાં નથી. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં 14 ધારાસભ્ય હતા તો પણ વિપક્ષનું પદ આપ્યું હતું. ભાજપ ખોટો અપ્રચાર કરી રહી છે કે પદ મળવાલાયક પણ નથી.