ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે અને સામે વધુ દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે
કોરોનાની સ્થિતિ મુદ્દે CM રૂપાણીનું નિવેદન
કોરોનાના નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છેઃ CM
નવા કેસ સામે વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં છેઃ CM
કોરોનાની સ્થિતિ મુદ્દે CM રૂપાણીનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોરોનાના નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. નવા કેસ સામે વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. તો ઓક્સિજન મુદ્દે તેમણે જણાવ્યુ કે 2 હજાર જેટલી હોસ્પિટલમાં દૈનિક 1100 ટન ઓક્સિજન આપવામાં આવે છે. નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યાં છે. રેમડેસિવિર ઈન્જેકશન અંગે તેમણે કહ્યુ કે એક મહિનામાં 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન સરકારે પુરા પાડ્યા છે.
અમદાવાદમાં 108ના કોલમાં ઘટાડો
કોરોના મહામારી વચ્ચે વધુ રાહતના સમાચાર એ છે કે, અમદાવાદમાં 108 સેવા પર આવતા ફોનમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવાના સંકેત છે. મે મહિનાથી 108 પર પર આવતા કોલમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 મેના રોજ 108 પર 689 કોલ આવ્યા હતા. 2 મેના 584 કોલ અને 3 મેના રોજ 502 કોલ આવ્યા હતા. પરંતુ 4 મેના રોજ માત્ર 441 અને 5 મેના દિવસે 356 કોલની સાથે ગઈકાલે એટલે 6 મેના દિવસે 318 કોલ આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ બહાર એક પણ એમ્બ્યુલન્સ લાઈનમાં નહીં
તો બીજી તરફ આજે Vtvના રિપોર્ટર દ્વારા 1200 બેડની સિવિલ હોસ્પિટલનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એક પણ એમ્બ્યુલન્સ લાઈનમાં જોવા મળી નહોતી. જે સમગ્ર ગુજરાતીઓ અને અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સમાન છે. પરંતુ હાલની સ્થિતિને જોઈને લોકોએ સાવચેતી રાખવાનું બંધ કરવાનું નથી. હજુ પણ આગામી અનેક મહિનાઓ સુધી લોકોએ સાવચેતી પૂર્વક રહેવું પડશે. અને સાથે તંત્રએ પણ સતર્ક રહેવું પડશે.
ગુજરાતની હોસ્પિટલમાં કેમ તબીબોની નથી થતી નિમણૂક
તો બીજી તરફ સમગ્ર ગુજરાતની હોસ્પિટલમાં ડૉકટરની અછત છતાં 265 તબીબો નિમણૂક કરાઈ નથી. માર્ચ 2021માં પસંદગી પામેલા 265 ડોકટરની હજી નિમણૂક કરાઈ નથી. ડૉકટરના અછતના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. સીધી ભરતીથી પસંદગી પામેલા નિમણૂક આપવામાં આવી નથી. આ પ્રકારની મહામારી વચ્ચે છેલ્લા 2 માસ બાદ પણ નિમણૂક ન આપતા તંત્રની કામગીરી સામે સવાલો થયા છે. 265 તબીબોની ભરતી થાય તો કોવિડ દર્દીઓને સારવારમાં રાહત થશે.