જામનગરની જી.જી. હોસ્પિટલમાં યૌન શોષણના મામલે રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે. જે HR મેનેજર એલ.બી.પ્રજાપતિ પર આક્ષેપ લાગ્યા છે. તેણે પોતાના પરના આરોપ ફગાવી અને ઉલટ તપાસની વાત કરી છે. HR મેનેજર એલ.બી પ્રજાપતિએ કહ્યું, તમામ આક્ષેપ પાયા વિહોણા, હું નિર્દોષ છું. આક્ષેપ કરનાર યુવતીઓની ઉલટ તપાસ થવી જોઈએ તેવી વાત પણ પ્રજાપતિ કરી રહ્યો છે.
સમગ્ર ઘટનામાં વધુ એક વ્યક્તિએ પોતાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હોસ્પિટલમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા નીલેશ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. હોસ્પિટલના જે ડૉક્ટરે એચ.આર પ્રજાપતિ પર આક્ષેપો કર્યા છે. તેની સાથે તેના મિત્ર નીલેશનું પણ નામ લીધું છે. ડોક્ટરે કહ્યું કે, એલ.બી પ્રજાપતિ યુવતીઓને લઈ નીલેશના રૂમ પર લઈ જતો હતો. જે બાદ કાઉન્સિલર નીલેશે પણ કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. જે બાદ પત્રકારો સાથે વાત કરતા નીલેશે કહ્યું કે, રૂમ મારો એકલાનો નથી. હા હું રૂમ પર રહેતો હતો. સાચવતો હતો. અને એલ.બી પ્રજાપતિ પણ રૂમનો ઉપયોગ કરતા હતા. પણ તે યુવતી સાથે ક્યારે આવ્યા તે વિશે મને જાણ નથી. પરંતુ યુવતીઓ સાથે ટોર્ચર થયું છે.
પીડિતાનો તપાસ સમિતિ વિરુદ્ધ આક્ષેપ
જામનગરની જીજી હોસ્પિટલમાં યૌન શોષણ મામલે પીડિતાએ તપાસ સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. પીડિતાએ જણાવ્યું કે તપાસ સમિતિએ ફેરવીને આડા અવળા સવાલ કર્યા. એટલું જ નહીં પૂછપરછના બહાને મોડી રાત સુધી રોકી રાખવામાં આવ્યા.પીડિતાએ તપાસ કમિટીના સભ્યોની કાર્યવાહીથી અસંતુષ્ટ હોવાનું પણ જણાવ્યું. સાથે જ પ્રકરણને દબાવવાના પ્રયાસ થતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ તપાસ કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે જો નિવેદન નોંધવા બાબતે અન્યાય થયો હોય તો યુવતીઓ ફરીથી નિવેદન નોંધાવે.
હોસ્પિટલના જ એક તબીબે કર્યા હતા નવા ખુલાસા
ગઈકાલે જીજી હોસ્પિટલના જ એક તબીબે સામે આવીને ખુલાસા કર્યા હતા. તબીબે કહ્યું હતું કે, જે સમાચાર સામે આવ્યા છે. તે એકદમ સત્ય છે. અનેક બાબત મને ખબર છે. HR સુપરવાઈઝર એલ.બી પ્રજાપતિ, પારસ રાઠોડ, રવિ ડેર, નંદન અને મહિલા કર્મચારી દિવ્યા કટારા યુવતીઓનું શારીરિક શોષણ કરતા હતા. જે યુવતી નબળી પરિસ્થિતિમાંથી આવતી હોય તેમનો ફાયદો ઉઠાવી ધમકી આપવામાં આવતી હતી. અને નોકરી માટે શારીરિક સંબંધ રાખવા દબાણ કરાતું હતું. આવી યુવતીઓને કાઉન્સિલ નીલેશના રૂમ પર લઈ જઈ શોષણ કરાતું હતું. તબીબે એ પણ ખુલાસો કર્યો છે કે, મારા ધ્યાનમાં છેલ્લા 6થી 8 મહિના સુધીમાં આ શોષણ થતું હોવાનું આવ્યું છે.
તબીબના દાવા પ્રમાણે 60થી 70 યુવતીઓ આ કેસમાં ફસાઈ
આ સાથે સૌથી મોટો દાવો એ પણ કર્યો કે, આ કેસમાં 60થી 70 જેટલી યુવતીઓ ભોગ બની હોઈ શકે છે. પરંતુ ક્યારેય કોઈ યુવતી પોતાની બદનામી કરાવવા માટે સામે આવશે નહીં. તબીબે ત્યાં સુધી કહ્યું કે, એલ.બી પ્રજાપતિની HR ઓફિસ કે એડમીન ઓફિસમાં સીસીટીવી કેમેરા પણ લાગ્યા નથી.