નીતિન પટેલ અને કાછડિયાના વિવાદ પર પૂર્વ CM રૂપાણીનું સૂચક નિવેદન,મામલાએ જોર પકડતા ધાનાણીએ પણ વહેતા વિવાદમાં હાથ ધોયા
નીતિન પટેલ V/S નારણ કાછડિયા
સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોય શકે-રૂપાણી
વિપક્ષ નારાયણ કાછડિયાની પડખે: પરેશ ધાનાણી
છેલ્લા બે દિવસથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારણ કાછડિયા વચ્ચે વાંકયુદ્ધ ચાલી રહ્યું છે નીતિન પટેલના મંથરા અને વિભીષણ વાળા નિવેદન પર ભાજપના નેતા અને સાંસદ નારણ કાછડિયાએ નિશાન તાકાત કહ્યું હતું કે ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ નહોતા જોતાં, કામ કરવાની વાત તો પછી રહી. સમગ્ર વિવાદ મામલે જોર પકડતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોય શકે, સામે પક્ષે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે કાછડીયાનું નિવેદન નિતિનભાઈ માટે પડ્યા પર પાટા સમાન
સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોય શકે-રૂપાણી
સાંસદ નારણ કાછડિયા અને પૂર્વ DyCM નીતિન પટેલ વચ્ચેના વિવાદનો મામલે પૂર્વ CM વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિવાદ અંગે મત રજૂ કરતાં કહ્યું કે નારણ કાછડિયા અને નીતિન પટેલ વચ્ચેનો વિવાદ દુર્ભાગ્યપૂર્ણ છે. સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોય શકે. રાજકોટમાં પૂર્વ સરસંઘચાલક સાથે બેઠક બાદ વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું છે.
વિપક્ષ નારાયણ કાછડિયાની પડખે: પરેશ ધાનાણી
બીજી તરફ નારાયણ કાછડીયા અને નિતિન પટેલના વિવાદ પર પરેશ ધાનાણીનુ નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કાછડીયાનું નિવેદન નિતિનભાઈ માટે પડ્યા પર પાટા સમાન છે, ચુંટણી આવે ત્યારે સાંતલી યોજના યાદ આવતી હતી, જે હજુ પુર્ણ થઇ નથી, નારાયણ કાછડીયાનો ઉપયોગ ભાજપના સ્થાપિત હિતો કરી રહ્યા છે, અપેક્ષા રાખું કે ભુપેન્દ્વ પટેલની સરકારમાં નારાયણભાઇનું સાંભળવામાં આવશે. નારાયણ ભાઇ ભુપેન્દ્ર પટેલ સરકાર સામે મોરચો માંડે તો વિપક્ષ તેમની સાથે ખભે ખભો મિલાવી ને ઉભા રહેશે. સાથે જ નીતિન પટેલ પર નિશાન તાકાત કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો ચોર છે તેવા નિતિન પટેલના નિવેદનનો વિરોધ કરવો જોઇતો હતો. નિતિનભાઇના ના આ નિવેદનનો જવાબ સૌરાષ્ટ્રની જનતા મતરૂપે આપશે
નીતિન પટેલે શું કહ્યું હતું?
નોંધનીય છે કે નીતિન પટેલે અગાઉ કહ્યું હતું કે હું કોઈ વ્યક્તિનું નામ નથી દેતો, સ્વભાવિક છે કે કેટલાક લોકો જે રાજકીય રીતે જુદી વિચારસરણી ધરાવતા હોય અને તે મારા હિતેચ્છુ નાં હોય તેવા લોકોને કદાચ હું મંત્રી નાં રહું એમાં આનંદ થતો હોય. મેં એમ પણ કહ્યું છે કે મહેસાણા જિલ્લાની 99.99 ટકા જનતાને હું મંત્રી નથી તેનું દુ:ખ છે, ફક્ત 0.1 ટકા લોકો એવા છે કે જેમને મારા તરફ ઈર્ષ્યા હોય. હું મંત્રી નથી તેનો એ લોકોને છુપો આનંદ પણ હોય શકે.
કાછડિયાએ શું કોમેન્ટ કરી?
નીતિન પટેલનાં એક વીડિયો પર ફેસબુકમાં ભાજપનાં સાંસદ નારણ કાછડિયાએ કોમેન્ટ કરીને ખૂલેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે. કાછડિયાએ કોમેન્ટમાં કહ્યું છે કે ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ નહોતા જોતાં, કામ કરવાની વાત તો પછી રહી. જોકે કાછડિયાની આ કોમેન્ટ પર નીતિન પટેલનાં સમર્થકો પણ મેદાનમાં આવ્યા હતા અને કાછડિયાને સોશ્યલ મીડિયા પર તાબડતોબ જવાબ આપ્યો હતો. કાછડિયાએ આ મુદ્દે જવાબ આપતા કહ્યું છે કે ગાંધીનગર જતાં ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓને આ જ અનુભવ થયો છે આ કડવો અનુભવ ખાલી મારો નથી. તેમણે વિભીષણ અને મંથરા કોને કહ્યા છે તે નીતિન પટેલ જ જણાવે.