જંત્રી મુદ્દે CM સાથે મુલાકાત કર્યા બાદ ગાહેડ ક્રેડાઈના પ્રમુખ તેજશ જોશીએ જણાવ્યું કે, નવી જંત્રીના કારણે રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને અસર થઇ રહી છે અને અમદાવાદમાં 60 જેટલા પ્રોજેક્ટ રિ-ડેવલપમેન્ટ હેઠળ ચાલી રહ્યા છે
ગાહેડ ક્રેડાઈના પ્રમુખનું નિવેદન
`ડેવલપરની મુખ્યમંત્રી સાથે બેઠક થઈ'
`જંત્રીને લઇ સુધારા થશે તેવો વિશ્વાસ'
ગુજરાતમાં જંત્રીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. ભૂપેન્દ્ર સરકારે રાજ્યમાં જંત્રી દરમાં બમણો વધારો કર્યો છે. જંત્રીમાં વધારો થતાં રાજ્યમાં 'કહી ખુશી કહી ગમ' જેવી સ્થિતિ દેખાઈ રહી છે. મહત્વનું છે કે ગુજરાતમાં આ દર છેલ્લાં 12 વર્ષોથી વધ્યાં નહોતાં. હવે તેમાં ડબલ વધારો કરવામાં આવ્યો છે. જંત્રી મુદ્દે CM સાથે મુલાકાત કર્યા બાદ ગાહેડ ક્રેડાઈના પ્રમુખ તેજશ જોશીનું નિવેદન સામે આવ્યું છે.
ડેવલપરની મુખ્યમંત્રી સાથે બેઠક થઇ છે: તેજશ જોશી
ગાહેડ ક્રેડાઈના પ્રમુખ તેજશ જોશીએ જણાવ્યું કે, ડેવલપરની મુખ્યમંત્રી સાથે બેઠક થઇ છે અને ડેવલપરને વિશ્વાસ છે કે હજી પણ જંત્રીને લઇ સુધારા થશે તેમજ 40 સીટી ચેપ્ટરના પ્રતિનિધીઓ જંત્રીને આવકારી રહ્યા છે તેમ પણ તેજશ જોશીએ જણાવ્યું છે. જંત્રી લાગુ કરાઈ એમાં કેટલીક વિસંગતતા રહેલી છે. તેમણે કહ્યું કે, નવી જંત્રીના કારણે રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને અસર થઇ રહી છે અને અમદાવાદમાં 60 જેટલા પ્રોજેક્ટ રિ-ડેવલપમેન્ટ હેઠળ ચાલી રહ્યા છે.
'અમારો જંત્રી સાથે કોઈ વાદ વિવાદ નથી અમે ફક્ત સમય માંગ્યો છે'
તેજશ જોશીએ જણાવ્યું કે, જંત્રી વધારાને લઈ અમારો કોઈ વિરોધ નથી પરંતુ અમારી કેટલીક વિસંગતતા છે તે દૂર કરવાની માંગ છે અને સરકાર સાથે બેઠકો થઈ રહી છે અને અમને આશા છે કે, આનો જલ્દી સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમારો જંત્રી સાથે કોઈ વાદ વિવાદ નથી અમે ફક્ત સમય માંગ્યો છે અને અમને વિશ્વાસ છે કે, અમારી અમુક માગણીઓ છે તે સરકાર પૂરી કરશે અને અમારી વિસંગતતા દૂર થશે.
જંત્રી એટલે શું?
જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતા લઘુતમ ભાવને જંત્રી કહેવાય છે. વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો. તેમજ દસ્તાવેજ એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી તે નક્કી થઇ શકે છે. કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ જ્યારે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ?
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી થાય છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે. ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે, ફ્લેટ. પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય તો જંત્રી રેટ ઉંચો હોય છે. હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે