કમલમમાં AAP પાર્ટીએ કરેલા ઘમાસાણ પર સી આર પાટીલે કહ્યું વિરોધ કરવો જોઈએ પણ યોગ્ય પ્રકારે, આવો બનાવ ફરી ન બને તેવી અપેક્ષા રાખુ છુ
હું ચોક્કસ પણે માનુ છુ કે પેપર લીક થઈ છે: પાટીલ
યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લે છે: પાટીલ
આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે લેવી તેની ચર્ચા ચાલુ છે: પાટીલ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે પત્રકાર પરિષદ કરી હાલમાં ચર્ચાતા 2 મુદ્દાઓ એટલે હેડક્લાર્ક પરીક્ષા રદ્દ અને AAP પાર્ટીનો કમલમ ખાતે વિરોધ પર નિવેદન આપ્યું છે.પાટીલે કહ્યું હતું કે પેપરલીક અંગે ગુનો દાખલ થયો છે ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે, આવી ઘટના બને ત્યારે અલગ અલગ પક્ષો વિરોધ કરે તે સ્વાભાવિક છે પણ ગઈકાલે કમલમ પર જે થયું તેના વીડિયોમાં જે દ્રશ્ય જોયુ તે યોગ્ય નથી. ભાજપના કાર્યાલયમાં ઘૂસીને વિરોધ કર્યો હતો, કોઈપણ રાજકીય પાર્ટી માટે આ પ્રકારનો વિરોધ યોગ્ય નથી. આવો બનાવ ફરી ન બને તેવી અપેક્ષા રાખુ છું.
ગૌણસેવાના ચેરમેન પર માત્ર આક્ષેપો પુરાવા નથી: સી આર પાટીલ
આજે જ ગુજરાત સરકાર તરફથી હેડક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે તે બાબતે નિવેદન આપતા પાટીલે કહ્યું છે કે ભરતી પ્રક્રિયામાં અધીકારીઓને જ સત્તા હોય છે. તપાસમાં કોઈપણ વ્યક્તિ હશે તેના પર કાર્યવાહી થશે અને થઈ રહી છે જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે, પણ ગૌણસેવાના ચેરમેન પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એક વાત સમજવી જરૂરી છે કે બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ બંને અલગ બાબત છે. યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લઈ રહી છે. ગૌણસેવાના ચેરમેન પર માત્ર આક્ષેપો થઈ રહ્યા છે તેના પુરાવા નથી. કોઈપણ ચમરબંધી હશે તેને નહી છોડવામાં આવે કારણ કે અમે કોઈને પણ બચાવવા માંગતા નથી.હું ચોક્કસ પણે માનુ છુ કે પેપર લીક થયું છે. આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે લેવી તેની ચર્ચા ચાલુ છે. આવનાર ભરતીમાં પેપર લીક ન થાય તે માટે તમામ પગલા લેવશે તેવી વાત પણ સી આર પાટીલે કરી હતી.