અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ માત્ર જાહેરાતોની જ સરકાર છે સરકાર લોકોની ચિંતા કરનારી નથી દર વખતે રૂપકડા નંબર સાથે જાહેરાતો થાય છે
કિસાન સંઘના પત્રનો મામલો
અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
"આ સરકાર લોકોની ચિંતા કરનારી નથી"
તૌકતે વાવાઝોડા બાદ વળતર ન મળવાના કિસાન સંઘના પત્રના મામલે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ માત્ર જાહેરાતોની જ સરકાર છે. આ સરકાર લોકોની ચિંતા કરનારી નથી. દર વખતે રૂપકડા નંબર સાથે જાહેરાતો થાય છે. ખરાઅર્થમાં લોકોને જાહેરાતનો લાભ મળતો નથી. ખેડૂતોને પેકેજમાંથી પણ પૂરો લાભ મળ્યો નથી. વાવાઝોડા બાદ સરકારની મદદ હજી મળી નથી.
2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ-આપની સક્રિયતા જોવા મળી રહી છે. ત્યારે હવે આવતા સપ્તાહથી કોંગ્રેસ પણ 'જન ચેતના' કાર્યક્રમ થકી લોકો વચ્ચે જશે. આગામી 7 જુલાઈથી 17 જુલાઈ સુધી મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ રાજ્યભરમાં કાર્યક્રમો યોજશે. જેમાં મુખ્ય મુદ્દો પેટ્રોલ-ડીઝલના ભાવ હશે. જેનો પ્રતિકાત્મક વિરોધ કરવા કોંગ્રેસ સાયકલ યાત્રા પણ યોજશે.
કાર્યક્રમોની વિગત આપતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોરોના મહામારીના કપરા સમયમાં સરકારની નીતિ નિષ્ફળ રહી છે. ભાજપના રાજમાં લાખો લોકો કોરોનામાં મોત થયા અને મોંઘવારી પણ વધી રહી છે. 2014માં UPA સરકારમાં કપાસિયા તેલના ભાવ ઓછા હતા. કઠોળ હોય કે, પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ આજે મોંઘો થયા છે. પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની અસર દરેક ક્ષેત્રને થઈ રહી છે. જૂન મહિનામાં 15 વખત ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થયો છે. પેટ્રોલ અને ડીઝલના નામે સરકાર લૂંટ ચલાવી રહી છે. મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ આગામી સમયમાં એટલે કે, 7 જુલાઈથી 17 જુલાઈ રાજ્યમાં જન ચેતના અભિયાન શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પર સાયકલ યાત્રા થશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ નેતાઓ જિલ્લા લેવલે જશે. મોંઘવારી ભ્રષ્ટાચાર સહિત જિલ્લાના પાયાના પ્રશ્નો અભિયાનમાં મુખ્ય રહશે. લોકોને પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અંગે જાગૃત કરીશું.