રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની સાથે જ નાગરિકતા સુધારા વિધેયક હવે કાયદો બની ગયું છે. નાગરિકતા સુધારા વિધેયક કાયદો (સીએએ) બનતાંની સાથે જ સમગ્ર દેશમાં ખાસ કરીને ઇશાન ભારત અને બિનભાજપ શાસિત રાજ્યમાં વિરોધનો વંટોળ જાગ્યો છે.
ત્રણ રાજ્ય-પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યપ્રધાનોએ નાગરિકતા સંશોધન વિધેયક (કેબ)ને બંધારણની વિરુદ્ધનું ગણાવીને આ બિલને પોતપોતાના રાજ્યમાં લાગુ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) અને નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન (એનઆરસી) બંનેને અયોગ્ય ગણાવ્યાં હતાં. કેપ્ટને કહ્યું હતું કે પંજાબ કોઈ પણ સંજોગોમાં આ વિધેયકને મંજૂર નહીં કરે, કેમ કે તે પણ એનઆરસીની જેમ જ લોકશાહીની ભાવનાની તદ્દન વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે પંજાબમાં નાગરિકતા સંશોધન બિલ લાગુ કરવામાં આવશે નહીં.
બીજી તરફ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કહ્યું છે કે કેરળ સીએબીનો સ્વીકાર નહીં કરે. વિજયને આ સંશોધનને ગેરબંધારણીય ગણાવતાં કહ્યું કે કેન્દ્ર સરકાર ભારતને ધાર્મિક આધાર પર વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન શરૂઆતથી જ નાગરિકતા સંશોધન બિલના ઉગ્ર વિરોધી રહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ખડગપુરમાં કહ્યું હતું કે મારા શાસનમાં આ બિલ રાજ્યના લોકો પર લાગુ નહીં પડે. સીએબીથી ડરવાની જરૂર નથી. અમે તમારી સાથે જ છીએ. જ્યાં સુધી અમે અહીં છીએ ત્યાં સુધી કોઈ આ બિલને તમારા પર લાદી શકશે નહીં.
મમતા બેનરજીએ તો એનઆરસી અને નાગરિકતા કાયદા વિરુદ્ધ અખબારોમાં જાહેરાતો પણ પ્રસિદ્ધ કરી દીધી છે અને પશ્ચિમ બંગાળમાં તેનો અમલ કરવામાં નહીં આવે તેવી લોકોને ખાતરી આપવાનું શરૂ કરી દીધું છે. આ કાયદાનો વિરોધ કરવામાં પૂર્વોત્તર ભારતનાં રાજ્ય પણ સામેલ છે.
છત્તીસગઢ પણ તેમાં જોડાયું હોવાનું જાણવા મળે છે. આમ, નાગરિકતા કાયદાને લઇ હવે એક અહમ કાનૂની મુદ્દો ઊભો થયો છે કે શું રાજ્ય કેન્દ્ર દ્વારા પસાર થયેલ કાયદાનો અમલ કરવાનો ઇનકાર કરી શકે ખરાં?
પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું કહેવું છે કે રાજ્ય પાસે કેન્દ્ર દ્વારા લાગુ કાયદાને પોતાના ત્યાં અમલ નહીં કરવાનો બંધારણીય હક તો છે, પરંતુ આ યોગ્ય પગલું ગણાશે નહીં. આદર્શ સ્થિતિ એ છે કે વાતચીત દ્વારા કોઇ રસ્તો શોધવામાં આવે અને મતભેદ દૂર કરવામાં આવે. જ્યારે કેટલાક કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે નાગરિકતા એ કેન્દ્રના દાયરામાં આવતો વિષય છે અને તેથી રાજ્ય તેનો અમલ કરવા કાનૂની રીતે ફરજબદ્ધ છે.
જો આ મામલે કેટલાંક રાજ્ય પોતાની જીદને વળગી રહેશે અને નાગરિકતા કાયદાનો અમલ નહીં કરવા અડગ રહેશે તો ગંભીર બંધારણીય સંકટ ઊભું થઇ શકે છે. વિરોધ કરનારાં રાજ્યએ સમજવું જોઇએ કે આપણા દેશનું માળખું ખાસ કરીને સંવૈધાનિક માળખું સંઘીય છે અને તેથી સંઘનું અસ્તિત્વ જાળવવા માટે કેન્દ્ર પોતાના વિષયવસ્તુમાં આવતા મુદ્દાઓ પર જે કોઇ નિર્ણય લે અથવા કાયદો ઘડે તો તેનો અમલ કરવો જોઇએ. હા, રાજ્ય તેની કેટલીક જોગવાઇઓ સામે રજૂઆત કરી શકે છે અને આ માટે જરૂરી ચર્ચા-વિચારણા કરીને કાયદાનો અમલ કરવો જોઇએ. જો કેન્દ્ર અને રાજ્ય બંને આ મામલે છેલ્લા પાટલે બેસી જશે તો ખતરનાક સ્થિતિનું નિર્માણ થશે.