15 ઓગસ્ટ 2022ના રોજ ભારતને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. ત્યારે સરકાર આ વખતની રાજ્યકક્ષાની ઉજવણી મોડાસામાં કરશે.
15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસામાં
પ્રથમ વખત ઉજવણીમાં આખો ડોમ હશે તિરંગા યુક્ત
CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
ગુજરાતમાં દર વર્ષે 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લીના મોડાસામાં થશે.
તારીખ 14 અને 15 ઓગસ્ટ એમ બે દિવસ કાર્યક્રમ યોજાશે. આ ઉજવણી માટે વિશાળ ડોમ પણ તૈયાર કરી દેવાયા છે. ડોમની આખી છત તિરંગા રંગના કાપડથી સજાવાશે.
પ્રથમ વખત રાજ્ય કક્ષાની ઉજવણીમાં આખો ડોમ હશે તિરંગા યુક્ત
મહત્વનું છે કે, આ વખતે પ્રથમ વખત રાજ્ય કક્ષાની ઉજવણીમાં આખો ડોમ તિરંગા યુક્ત રહેશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડની બોર્ડર પણ તિરંગા રંગના કાપડથી સજાવાશે. બહારથી બોલાવેલા ખાસ કારીગરો દ્વારા હાલ આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.
વધુમાં રાજ્યમાં અંદાજે એક કરોડ તિરંગા ફરકાવીને મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને તેની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે 'હર ઘર તિરંગા અભિયાન' જાહેર કર્યું છે. તો બીજી તરફ આઝાદી કા અમૃત મહોત્સવ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ અભિયાન મારફતે નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ઉજવણીમાં સામેલ કરવામાં આવશે.
15 ઓગસ્ટ 2022ના રોજ ભારતને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે
ઉલ્લેખનીય છે કે, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ સચિવોને નિર્દેશ જાહેર કરીને તમામ મંત્રાલયોને 'હર ઘર તિરંગા' અભિયાનના સંબંધમાં સંપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવવા અને તેને વધુમાં વધુ લોકોના સહયોગ સાથે સફળ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે.
તમને જણાવી દઇએ કે, 15 ઓગસ્ટ 2022ના રોજ ભારતને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. ત્યારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઇતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઉત્સવને સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નામ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્સવ અંતર્ગતના એક કાર્યક્રમને “હર ઘર તિરંગા” અભિયાન નામ આપવામાં આવ્યું છે.