ગુજરાત વિધાનસભા સત્રમાં સરકારની કેફિયત સરકારી પ્રાથમિક શાળામાં 19 હજાર 128 ઓરડાની ઘટ. તો RTE હેઠળ 30,651 જેટલા ઓછા બાળકોને પ્રવેશ અપાયો છે.
ગુજરાતમાં શિક્ષણ નામે વ્યવસ્થા પણ નહી.
શાળાઓમાં ઓરડા ની સતત વધતી ઘટ
RTE હેઠળ 30 હજાર કરતા વધુ પ્રવેશથી વંચિત
એક તરફ રાજ્ય સરકાર ભિક્ષા વૃતિ કરી રહેલા બાળકો માટે શિક્ષણ અભિયાન ચલાવીને વિશેષ વ્યવસ્થા કરે છે ત્યારે બીજી તરફ રાજ્યમાં સ્થિતિ 'શાળા મેદાનો વગર જેવી ર્રીતે રમે છે ગુજરાત, બસ, એવી જ રીતે સ્થિતિ કઇક 'કેવી રીતે ભણે ગુજરાત'ની છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાને પોકળ સાબિત કરતી સ્થિતિનું નિર્માણ થયું છે. વિધાનસભા સત્રના આજે ચોથા દિવસે કોન્ગ્રેસના એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપતા સરકારી દાવાઓની ધજ્જિયા ઉડી ગઈ હતી.
ઓરડાથી વિમુખ શાળાઓ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નનો સરકારે જવાબ આપતા સરકારી પ્રાથમિક શાળામાં 19 હજાર 128 ઓરડાની ઘટ હોવાની વાતને સ્વીકૃતિ આપી હતી. મતલબ કે રાજ્યની કેટલીય શાળાઓમાં ભણવા માટે ઓરડાઓ જ નથી. એટલું માત્ર નહિ પણ શાળાઓમાં ઓરડાની ઘટમાં સતત વધારો નોંધાતો જોવા મળ્યો છે.વર્ષ 2020-21માં માત્ર 972 ઓરડા બનાવવામાં આવ્યા હતા. તો 14 જિલ્લામાં એક પણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. 2015ની સ્થિતિએ પ્રાથમિક શાળામાં 8388 ઓરડાની ઘટ જોવા મળી હતી. સામે 2018માં 16 હજાર 8 ઓરડાની ઘટ સામે આવી હતી. ગત વર્ષ એટલે કે 2021માં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ 18 હજાર 537 પર પહોચી હતી.
RTE હેઠળ પ્રવેશ વંચિત વિધાર્થીઓ
બીજી તરફ રાજ્ય સરકાર પર કોંગ્રેસે પ્રશ્નો નો મારો ચલાવ્યો હોય તેમ RTE હેઠળ કેટલા બાળકોને રાજ્યની શાળાઓમાં પ્રવેશ આપાયો હોવાની માહિતી માંગવામાં આવતા રાજ્ય સરકારના જવાબ પરથી ફલિત થયું છે કે, રાજ્ય સરકારે RTE હેઠળ પ્રવેશમાં ઉદાસીનતા દાખવી છે. રાજ્ય સરકારે RTE હેઠળ ઓછા બાળકોને પ્રવેશ આપ્યો છે.RTE હેઠળ રાજ્યમાં 2020-21માં 98,312 બાળકો સામે 78,989ને જ પ્રવેશ અપાયો તો વર્ષ 2021-22માં 75,503 બાળકો સામે 64,175 બાળકોને જ પ્રવેશ અપાયો છે. સરકારે બે વર્ષમાં 1,43,164 બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો છે. આ દરમિયાન 30,651 ઓછા બાળકોને પ્રવેશ અપાયો છે. ખાનગી શાળાઓમાં 25 ટકા લેખે RTE હેઠળ બાળકોને પ્રવેશ આપવાની જોગવાઇ છે