રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાકીય નુકસાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરી
દુધ ઉત્પાદક અને પશુપાલકના હિતમાં નિર્ણય
મિલ્ક પાવડર નિકાસ માટે સહાય
સરકાર પ્રતિકિલો રૂ.50ની સહાય આપશે
સીએમ વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં સીએમએ હવે ફ્રેઇટ ઓન બોર્ડ પ્રતિ કિ.ગ્રામ 180ને બદલે રૂ. 200 આપવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાકીય નુકસાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરી છે. સીએમ રૂપાણીએ એવું પણ સૂચવ્યો છે કે જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ. 200થી વધીને 210 થાય તો નિકાસ સહાય રૂ. 50થી ઘટીને રૂ. 40 થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. 50 પ્રતિ કિલોગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ. 150 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે પશુપાલકોને આર્થિક રાહત થશે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઉઠાવ્યા સવાલ
દૂધ પાવડરમાં સરકારે સહાય આપવાની કરેલી જાહેરાત અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે. મનીષ દોશીએ કહ્યું કે, સરકારે 2018માં 300 અને 2020માં પણ 150 કરોડ રૂપિયાની સહાયની વાત કરી હતી. ચૂંટણી નજીક આવતા CMએ કિલોએ 50 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સહકારી માળખામાં ભાજપની હડપવાની માનસિકતાના કારણે નુકસાન થઈ રહ્યું છે. પશુપાલકોને યોગ્ય વળતર ન આપવું અને આગેવાનોને ખુશ કરવાની આ નીતિ છે. ભાજપના શાસનમાં ગુજરાતના સહકારી માળખામાં મોટું નુકસાન થયું છે. સરકાર મળતીયાઓને લાભ કરાવવામાં બદલે પશુપાલકોને ન્યાય આપે.