રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ડ્રગ્સને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના ચાવવાના અને અને દેખાડવાના દાંત જૂદા છે, તે માત્ર વિરોધ કરવાનો દેખાડો કરી રહી છે.
ડ્રગ્સ મુદ્દે વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસે રાજ્યને બરબાદ કરવું છે?: વાઘાણી
કોંગ્રેસ માત્ર વિરોધ કરવાનો દેખાડો કરે છેઃ જીતુ વાઘાણી
ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસીય ટૂંકુ સત્ર શરૂ થયું છે. ત્યારે આજે પ્રથમ દિવસે જ કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવતા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વેલમાં હોબાળો કરતા જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, કાંતિભાઈ ખરાડી, નૌશાદ સોલંકી, ગેનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત, અમરીશ ડેર, પુના ગામીત, ચંદનજી ઠાકોર, ઈમરાન ખેડાવાલા અને બાબુ વાજાને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે. ત્યારે ડ્રગ્સને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લીધી.
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસ શું યુવાનોને ડ્રગ્સ પિરસવા માંગે છે? રાજ્યની સરકાર કડક થઈને એ ડ્રગ્સ પકડી રહી છે એ ઈચ્છા શક્તિ છે. શું કોંગ્રેસ પોલીસનું મોરલ તોડવા માંગે છે?, શું ડ્રગ્સ ન પકડવું જોઈએ અને દેશ-રાજ્યમાં જવા દેવું જોઈએ? કોંગ્રેસ કેવા પ્રકારની વાતો રાજકારણ માટે કરે છે.'
આ સમાજ ક્યારે કોંગ્રેસને માફ નહીં કરેઃ જીતુ વાઘાણી
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 'યુવાનો અને સમાજ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. ડ્રગ્સ પકડાય છે તે ઈચ્છા શક્તિનું પરિણામ છે. અમારા પોલીસનું કમિટમેન્ટ છે, પોલીસ કોઈ લોભ લાલચમાં આવી નથી. હું પોલીસને અભિનંદન આપું છું અને કોંગ્રેસને સવાલ કરું છું કે શું ડ્રગ્સને પકડવું ન જોઈએ અને ડ્રગ્સને રાજ્યમાં જવા દેવું જોઈએ?'
રખડતા ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચાયું
વિધાનસભામાં કોંગ્રેસના હોબાળા પર જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસના ચાવવાના અને અને દેખાડવાના દાંત જૂદા છે. કોંગ્રેસ માત્ર વિરોધ કરવાનો દેખાડો કરી રહી છે. કોંગ્રેસને જનતાનું સમર્થન નથી, કોંગ્રેસના કાર્યકરો વેર વિખેર થઈ રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. તેમણે રખડતા ઢોર નિયંત્રણ બિલ વિશે કહ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બિલ પાછું મોકલ્યું છે, ત્યારે આજે વિધાનસભામાં સર્વાનુમતે રખડતા ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચવામાં આવ્યું છે.
પશુપાલકોમાં ખુશીનો માહોલ
મહત્વનું છે કે, આ કાયદાનો રાજ્યભરમાં પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યભરમાં ઠેર-ઠેર દૂધ ઢોળીને કાયદો રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસીય ટૂંકુ સત્ર શરૂ થયું છે. જેમાં આજે પ્રથમ દિવસે જ આ બિલને પરત ખેંચી લેવાયું છે. જેથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.