ગુજરાત રાજ્યને કોરોના વાયરસે બાનમાં લીધું છે. એવામાં રાજ્યના કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત બે શહેરો અમદાવાદ અને સુરતમાં કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે સેવા નિવૃત્ત અધિકારીઓનો સહારો લીધો હોય તેમ લાગી રહ્યું છે.
સરકારના છેલ્લા પોસ્ટિંગમાં નિવૃત્ત IAS અધિકારી S K લાંગાને સુરત મહાનગર પાલિકામાં સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે મુકવામાં આવ્યા છે. આ પહેલા અન્ય નિવૃત્ત IAS અધિકારી રાજ માકડિયાને પણ સુરત મહાનગર પાલિકામાં સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે મુકવામાં આવ્યા હતા.
કોન્ટ્રાક્ટના ધોરણે આ પોઝિશન ઉપર 1 વર્ષ માટે મુકવામાં આવ્યા
બંને અધિકારીઓને કોન્ટ્રાક્ટના ધોરણે આ પોઝિશન ઉપર 1 વર્ષ માટે મુકવામાં આવ્યા છે. આ પહેલા અન્ય નિવૃત્ત IAS અધિકારી C R ખરસનને અમદાવાદ મહાનગર પાલિકા AMCમાં સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે ખરસન ગયા સપ્ટેમ્બરમાં જ વલસાડ કલેકટર તરીકે નિવૃત્ત થયા છે જયારે લાંગા ગાંધીનગર કલેકટરના પદથી નિવૃત્ત થયા છે. આ ઉપરાંત માકડિયા રેવન્યુ વિભાગના રેવન્યુ ઇન્સ્પેકશન કમિશ્નર તરીકે નિવૃત્ત થયા છે.
સરકારને આ મહામારીને કાબૂમાં લેવા માટે અનુભવી અધિકારીઓની જરૂર છે
આ ત્રણેય અધિકારીઓ ખૂબ અનુભવી ગણાય છે અને તેમણે તેમની કારકિર્દીમાં AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું પદ સાંભળ્યું છે. સરકારમાંથી સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સરકારને આ મહામારીને કાબૂમાં લેવા માટે અનુભવી અધિકારીઓની જરૂર છે. આ ઉપરાંત જો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આગામી ઈલેકશન પાછા નથી ઠેલાતા તો મહાનગર પાલિકાઓમાં કામકાજ માટે અનુભવી અધિકારીઓની જરૂર રહેશે.