આજે ગુજરાત સરકાર ખેડૂતોને લક્ષી મોટી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન સમિતિ સહિતના લોકો ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. ખેડૂતોને વ્યાજમાફી મળે તેવી માંગ કરતા રહયા છે. તેવામાં આજે નાયબ મુખ્ય પ્રધાને મોટી જાહેરાત કરી છે.
રાજ્યમાં બે દિવસીય મોનસૂન સત્ર દરમિયાન સરકારે ખેડૂતો માટે થોડા દિવસોમાં મોટી જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને લઇને આજ રોજ ડેપ્યુ સીએમ નીતિન પટેલે ખેડૂતોને લઇને રાજ્ય સરકારે કરેલા નિર્ણયની જાહેરાત કરી છે. ડે. સીએમ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી આ અંગની જાણકારી આપી છે.
રાજ્ય સરકારે ખેડૂત અકસ્માત યોજનામાં મહત્વની જાહેરાત કરી છે. ખેડૂત અકસ્માતની રકમ બમણી કરાઇ. વીમો મંજૂર કરવાની પધ્ધતિ સરળ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારે 2.48 કરોડ લોકોને લાભ આપશે. 7/12માં નામ ના હોય તેવા ખેડૂતોને પણ સહાયતા મળશે. જેમાં ખેડૂત અકસ્માતમાં સહાય 2 લાખની કરાઇ જ્યારે ગંભીર ઇજામાં 1 લાખ ચૂકવાશે.
જ્યારે વારસદારોના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં છે. ખેડૂતોએ કોઇપણ પ્રિમિયમ ભરવાનું નથી. વીમાની રકમ મેળવવા પોસ્ટ મોર્ટમ ફરજિયાત રહેશે. હવે સરકાર 70થી80 કરોડ રૂપિયા પ્રીમિયમ તરીકે ભરશે. આ યોજના હેઠળ 1.75 કરોડ ખેડૂતો નોંધાયા છે. વીમો નાંખવાની પધ્ધતિમાં સરળીકરણ કરવામાં આવ્યું છે.