વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ સ્કૂલે સમયમાં કર્યો ફેરફાર
વિદ્યાર્થિનીના મૃત્યુને લઇ રાજ્ય સરકારે માંગ્યો રિપોર્ટ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ લેવાઈ શકે છે નિર્ણય
રાજકોટની જસાણી સ્કૂલમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ સ્કૂલે સમયમાં ફેરફાર કર્યો છે. સ્કૂલની બહાર સમયના ફેરફાર અંગેની એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ મૃતકની માતા દ્વારા ઠંડીના કારણે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર લઈ શકે છે પગલા
વિદ્યાર્થીનીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. વિદ્યાર્થિનીના મૃત્યુને લઈને રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર આ મામલે પગલા લઈ શકે છે.
શાળાઓના સમયમાં ફેરફારના આદેશ
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજિયાતપણે તમામ શાળાઓને સવારનો સમય 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે. શાળાના સમયમાં ફેરફાર જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું છે કે, ઠંડીના કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે. આચાર્ય સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈ શકે છે. શાળામાં બાળકોની સલામતી અગત્યની છે.
નિશ્ચિત જગ્યાએથી યુનિફોર્મ ખરીદવા સ્કૂલ ન કહી શકેઃ DEO
DEOએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને વધુ કપડા પહેરવા શાળાઓ ઈનકાર ન કરી શકે. શાળાઓ સ્વેટર પહેરતા વિદ્યાર્થીઓને રોકી ન શકે. સાથે જ નિશ્ચિત જગ્યાએથી યુનિફોર્મ ખરીદવા સ્કૂલ ન કહી શકે.
શું છે મામલો?
શહેરના ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર (રહે. ગોપાલનગર, ઢેબર રોડ, રાજકોટ) ગતરોજ ચાલુ ક્લાસમાં બેભાન થઈ ઢળી પડી હતી. જે બાદે તેને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલવેનમાં બેસાડીને દોશી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતકની માતા જાનકીબને ગંભીર આક્ષેપ સાથે વિનંતી કરતા કહ્યું હતું કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો તેમણે જણાવ્યું કે, શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો.
મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાખી છે: મૃતકની માતા
રીયાની માતાએ કહ્યું હતું કે, 'કડકડતી ઠંડીમાં છોકરાઓને આવવું પડે તે યોગ્ય નથી અને બની શકે તો સ્કૂલનો સમય મોડો રાખો અને સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે મજબૂર કરો તે યોગ્ય નથી. કારણ કે સ્કૂલના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી. સ્કૂલમાં છોકરાઓ જાડા સ્વેટર પહેરે તો ઠંડી ઝીલી શકે. મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાખી છે. રીયા એકદમ તંદુરસ્ત હતી, કોઇ પણ બીમારી ન હતી અને ઠંડીને કારણે બ્લડ જામી ગયું હૃદયમાં એને લીધે તેની બધી નળીઓ બંધ થઈ ગઈ. એમાં મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને...'