રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ હરકતમાં આવ્યો છે. તાજેતરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કરતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકાર સંવેદનશીલ છે. છેલ્લા 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના બની છે જેની ખરેખર ગંભીર બાબત છે.
રાજકોટ, વડોદરા અને સુરતમાં બની દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ વિભાગ સક્રિય થયું છે અને રાજકોટ તથા સુરતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે જ વડોદરાના આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની કરશે માગ
વધુમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે. તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે.
પીડિતાઓને રાજ્ય સરકાર વતી આર્થિક સહાય
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, પીડિતાઓને રાજ્ય સરકાર વતી આર્થિક સહાય કરવામાં આવશે અને અવાવરું વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. આ સાથે રાજ્યમાં આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા વધુ કડક પગલા ભરવામાં આવશે.