ગાંધીનગરઃ ફી નિયમન મુદ્દે રાજ્ય સરકારે ફરી એક વખત શાળાઓને ટકોર કરી છે. રાજ્ય સરકારે અપીલ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું શાળાઓ દ્વારા અમલ કરવામાં આવે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે સૌની જવાબદારી છે. કેટલીક શાળાઓ હોલ ટિકિટ રોકવાની ધમકી આપી રહી છે તે ગેરવ્યાજબી છે. હોલ ટિકિટ રોકવાની ધમકી ગેરવ્યાજબી છે.
સાથે જ જણાવ્યું કે 28 તારીખ બાદ શાળાઓએ 2 સપ્તાહમાં પ્રોવિઝનલ ફી જાહેર કરવાની રહેશે. પ્રોવિઝનલ ફી કરતા વધુ ફી શાળાઓ વસૂલી નહીં શકે. જો કોઈ શાળા કસૂરવાર પુરવાર થશે તો કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાશે.
હાલ શાળા જે ફી માગે તે ભરવાની રહેશે. ફી નક્કી થયા બાદ શાળાઓએ નિયત ફી પ્રમાણે સરભર કરવાની રહેશે. સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ફી નિયમન વર્ષ 2017-18થી જ અમલી કરવામાં આવશે.
મહત્વનું છે કે ફી નિયમન મુદ્દે કેટલીક શાળાઓએ હોલ ટિકિટ આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી વાલીઓની ચિંતામાં પણ વધારો થયો હતો. જોકે સરકારના આદેશ બાદ વાલીઓને હાશકારો થયો છે.