દેશની સૌથી મોટી બેંકે ખાતાધારકોને ખૂબ મોટો ઝટકો આપ્યો છે. બેંકે બચત ખાતા પર વ્યાજદર ઘટાડી દીધો છે. સ્ટેટ બેંકનાં 40 કરોડથી વધુ ગ્રાહકોને એક લાખની બચત રાશિ પર હવે 0.25 ટકા ઓછું વ્યાજદર મળશે. બેંક દ્વારા ટૂંક સમય પહેલા જ શોર્ટ ટર્મ એફડી પર વ્યાજદર ઘટાડવામાં આવ્યા હતા અને હવે બચત ખાતા પર પણ વ્યાજદર ઘટાડી દેતા પડતા પર પાટું જેવા હાલ થયા છે.
SBIનાં કરોડો ગ્રાહકોને ઝટકો
1 લાખની બચત રાશિ પર હવે 3 ટકા વ્યાજ મળશે
7થી 45 દિવસ માટેની એફડી પર 0.50 ટકાનો વ્યાજકાપ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં કરોડો ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટેટ બેંક દ્વારા સેવિંગ્સ એકાઉન્ટનાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બચત ખાતાંમાં જમા એક લાખની રકમ પર 0.25 ટકા વ્યાજદર કાપવામાં આવ્યો છે.સ્ટેટ બેંકનાં આશરે 40 કરોડ ગ્રાહકોને અસર થશે. પહેલાં એક લાખની બચત રાશિ પર ગ્રાહકોને 3.25 ટકા વ્યાજ મળતું હતું. વ્યાજદરમાં ઘટાડા બાદ ગ્રાહકોને 3 ટકા વ્યાજ મળશે.
નોંધનીય છે કે ટૂંક સમય પહેલાં બેંક દ્વારા ફિક્સ્ડ ડીપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બાંધી મુદતનાં ખાતાં પર વ્યાજ ઘટાડ્યા બાદ હવે બચત ખાતા પર વ્યાજ ઘટાડાથી ગ્રાહકોને પડતા પર પાટું જેવા હાલ થયા છે. બેંકે 45 દિવસ માટેની શોર્ટ ટર્મ એફડી પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. શોર્ટ ટર્મ પર નવા વ્યાજદર 10 માર્ચથી લાગુ થશે.
શોર્ટ ટર્મ ફિક્સ્ડ ડીપોઝીટ એટલે કે 7થી 45 દિવસ સુધીની એફ ડી પર હવે 4 ટકા વ્યાજ મળશે જે પહેલાં 4.5 ટકા હતો. નોંધનીય છે કે સ્ટેટ બેંકે હોમ લોન પર પણ વ્યાજદર ઘટાડી દીધા છે. બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ટ લેડિંગ રેટમાં 15 આધાર અંકનો ઘટાડો કર્યો છે, આ વ્યાજદર પણ 10મી માર્ચથી લાગુ થશે.